જયારે ભગવાન શ્રી રામ રાવણ પર વિજય મેળવીને અયોધ્યા પાછા ફર્યા ત્યારે તેમણે હનુમાનજીને કહ્યું કે હે વીર હનુમાન ! હું તમારા ઋણમાંથી મુક્ત થઈ શકું તેમ નથી.ત્યારે હનુમાનજી કહે છે ના ના પ્રભુ ! એમ ના કહો.આપની સેવાનો મને અવસર પ્રાપ્ત થયો તે મારે મન ઘણું છે નહીતર મારો આ જન્મ નિષ્ફળ જાત.
શ્રી રામ અને હનુમાનજીના સંવાદની સમાપ્તિ બાદ સીતા માતાએ રત્નોની એક માળા હનુમાનજીને આપી હતી. આ રત્નમાલાના ઈચ્છુ વિભીષણ, સુગ્રીવ, અંગદ, જાંબુવાન, નલનીલ વગેરે હતા.
સીતામાતાએ હનુમાનજીને રત્નોની માળા આપી ત્યારે હનુમાનજીએ તે માળા તેમના માથે લગાવીને પ્રેમ ભરી દષ્ટિએ તે માળાને જોઈ પણ થોડીક જ ક્ષણોમાં હનુમાનજીએ તે રત્નમાળાને તોડી નાખી.ત્યારે સીતાજીએ આશ્ચર્યચકિત થઈને પૂછયું કે હે હનુમાન ! તમે આમ કેમ કર્યું ? શ્રી હનુમાનજીએ કહ્યું હે સીતા માતા ! આપની ક્ષમાયાચના માંગું છું પણ આ રત્નમાળામાં મારા “શ્રી રામ” નું કયાંય નામ નથી તેથી આ માળા મારે કોઈ કામની નથી.
મારે રત્નમાળા નહી,શ્રી રામ જોઈએ છે.
સભામાં બેઠેલા લોકોને શ્રી હનુમાનજીનો આ ભક્તિ વાત્સલ્ય પ્રેમ કંઈ સમજાયો નહી.સૌના મનમાં જે શંકા ઉદભવી તેનું સમાધાન કરવા હનુમાનજીએ પોતાની છાતી ચીરીને સૌને “સીતારામ”ના દર્શન કરાવ્યા. ભગવાન શ્રી રામ તે જ વખતે સિંહાસન પરથી ઉભા થઈને હનુમાનજીને આલિંગન કર્યું હતું.સૌએ “જય જય શ્રી રામ” નો જયજયકાર કર્યો.
વિભીષણ,અંગદ,સુગ્રીવ,નલનીલ,જાંબુવન વગેરે લોકોએ પસ્તાવો કર્યો કે આપણે શ્રી રામની ઈચ્છા ના કરીને રત્નમાલાની ઈચ્છા કરી. સૌને પોતાની ભૂલ સમજાઈ. તે સૌ સીતારામ શરણમાં વંદન કરવા લાગ્યા હતા.
આ સત્ય વાત પરથી આપણને એમ બોધ મળે છે કે જયાં સુધી “કામના” છે,કોઈ વસ્તુનો “મોહ” છે ત્યાં સુધી આપણને ઈશ્વર પ્રાપ્ત થતા નથી. ઈશ્વર ત્યારે પ્રાપ્ત થાય છે જયારે કામના નથી હોતી,કોઈ વસ્તુનો મોહ નથી હોતો.
આ બોધ આપણને શીખવવા માટે હનુમાનજીની શ્રી રામ ભગવાન પ્રત્યેની ભક્તિનું ઉદાહરણ શ્રેષ્ઠ ઉદાહરણ છે.
બોલો જય જય શ્રી રામ.
જય હનુમાન.
જય બહુચર માં.