તંત્રની પાંચમી મહાવિદ્યા ત્રિપુર ભૈરવી છે.
ત્રિપુર એટલે “ત્રણ પુરની અધિષ્ઠાત્રી”. ત્રણ પુર એટલે સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળલોક.
ભૈરવી એટલે ભયને મુક્ત કરનારી શક્તિ.“ભૈ” એટલે રક્ષણ કરનારી, “ર” એટલે રમણા કરનારી અને વી એટલે વમના ( મુક્તિ ) કરનારી.
શક્તાગમ અનુસાર ભૈરવી મૂળ ઉમાનું સ્વરૂપ છે.તે યોગેશ્વરી છે
સૃષ્ટિના આરંભ સમયે ભગવાન શિવના ઉદરમાંથી સૃષ્ટિનું વમન કરવાને ઉત્પન્ન થયેલી દેવી છે તે “ભૈરવી” છે.
ભૈરવી દેવીનું સ્વરૂપ ઉગ્ર છે. તેને લાલ રંગ અત્યંત પ્રિય છે. રકતવસ્ત્રો, રક્તવર્ણની માલા, રક્તચંદન, પુસ્તક, અભય અને વર નામક મુદ્રા ધારણ કરે છે. દેવી કમલાસન પર બિરાજે છે. દેવી વાણીની અધિષ્ઠાત્રી છે.
તંત્રશાસ્ત્ર અનુસાર ભૈરવી લલિતા ત્રિપુરસુંદરીની રથવાહિની છે.
બ્રહ્માંડપુરાણ અનુસાર ભૈરવી ગુપ્ત યોગીનીઓની અધિષ્ઠાત્રી છે.
મત્સ્યપુરાણ અનુસાર ભૈરવીના અનેક સ્વરૂપો છે જેમ કે ત્રિપુર ભૈરવી, કોલેશ ભેરવી, રુદ્ર ભૈરવી, ચૈતન્ય ભૈરવી, નિત્યા ભૈરવી વગેરે.
તંત્રસાધના પુસ્તકમાં વર્ણન છે કે ઘોરકર્મો માટે ત્રિપુરભૈરવીનો મંત્ર પ્રયોગ કરવો જોઈએ. ઈન્દ્રિયો પર વિજય મેળવવા માટે તથા સર્વત્ર ઉત્કર્ષની પ્રાપ્તિ હેતુ સાધક ત્રિપુર ભૈરવીની ઉપાસના કરે છે.
દેવી ભાગવત પુરાણ અનુસાર ત્રિપુર ભૈરવીએ મદ્યપાન (કેફી પીણું નહી) કરીને મહિષાસુરનું મર્દન કર્યુ હતું.
ત્રિપુર ભૈરવીના ભૈરવ દક્ષિણામૂર્તિ છે.
ત્રિપુર ભૈરવીની પૂજા આઠમ, ચૌદશ, પૂર્ણિમા અને અમાસે વિશેષ ફળ આપનારી બને છે. સાધક લાલ વસ્ત્રો અને ધનધાન્યાદિનો ઉપયોગ કરે છે. ભૈરવી રહસ્ય અને તંત્રસાર વગેરે ગ્રંથોમાં ત્રિપુર ભૈરવીની સાધના અને ગુપ્ત મંત્રો વિશે વર્ણન છે.
આગમ ગ્રંથો અનુસાર ત્રિપુર ભૈરવી એકાક્ષર રુપ (પ્રણવ) છે. ત્રિપુર ભૈરવીથી જ સંપૂર્ણ ભુવનો પ્રકાશમય થાય છે અને અંતે તેનું વિસર્જન તે કરે છે.
“અ” થી “વિસર્ગ” સુધી સોળ વર્ણ ભૈરવ કહેવાય છે તથા “ક થી ક્ષ” સુધી ભૈરવી કહેવાય છે.
ત્રિપુર ભૈરવીનું પીઠ વારાણસી કેંટ સ્ટેશનથી ૮ કીમી દૂર મીરા ઘાટ પાસે છે. અહીં ત્રિપુર ભૈરવીની મૂર્તિ સ્વયં ભૂ છે.
ત્રિપુર ભૈરવી દક્ષિણ દિશાની અધિષ્ઠાત્રી છે.
તંત્રનો સાધક ત્રિપુર ભૈરવીની ઉપાસના કરે છે ત્યારે તેની જન્મકુંડળીનું લગ્ન આપોઆપ બળવાન થઈ જાય છે.
ત્રિપુર ભૈરવીનો બીજ મંત્ર ગુપ્ત છે જે ગુરુ દીક્ષા વગર કરવો જોઈએ નહી.
ત્રિપુર ભૈરવી રજોગુણ તથા તમોગુણ ધરાવતી દેવી છે. દેવીની આરાધનાથી અનેક વિપત્તિઓ દૂર થાય છે. મહાપીડામાંથી મુક્તિ મળે છે. માનસિક શાંતિ મળે છે.ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. ઈચ્છિત પાત્ર સાથે વિવાહ થાય છે.ટૂંકમાં, ત્રિપુર ભૈરવીનો સાધક ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત કરે છે.
જય માઁ ત્રિપુર ભૈરવી
જય બહુચર માઁ.