સ્વની વૃદ્ધિ કેવી રીતે થાય છે ? સ્વનો વિકાસ કેવી રીતે થાય છે ? આવા અનેક પ્રશ્નો આજની પેઢી અને યુવાધનના મનમાં ઉદભવતા હશે. આવા પ્રશ્નોનો જો મારે કોઈ યોગ્ય જવાબ આપવો હોય તો એક નાનકડી વાર્તા દ્વારા સમજાવું.
એક નાનકડો બાળક હતો. તેની ઉંમર માત્ર ૭ -૮ વર્ષ હતી.તે એક રેસ્ટોરન્ટમાં ગયો.તે બાળકની પાસે વેઈટર આવ્યો. બાળકે વેઈટરને પૂછયું કે ડબલ ચીઝ પીઝાનો શું ભાવ છે ? વેઈટરે કહ્યું કે ૧૦૦ રૂપિયા.બાળકે થોડું વિચાર્યું અને ત્યારબાદ વેઈટરને પૂછયું કે અને રેગ્યુલર પીઝા ? વેઈટરે કહ્યું કે ૮૦ રૂપિયા. બાળકે રેગ્યુલર પીઝા ઓર્ડર કર્યા. વેઈટર પીઝા અને પીઝાની સાથે બીલ લઈને આવ્યો.
પીઝા ટેબલ પર આવ્યા બાદ બાળકે હરખીને પીઝા આરોગ્યા.પીઝા આરોગ્યા બાદ બાળકે બિલ ચૂકવ્યું અને તે ત્યાંથી ચાલી નીકળ્યો. વેઈટર ટેબલ પાસે આવ્યો. વેઈટરે બિલ બુક ખોલીને જોયું તો બાળકે ૮૦ રૂપિયા પીઝાના બિલ પેટે ચૂકવ્યા હતા અને ૨૦ રૂપિયા વેઈટર માટે ટીપ મૂકી હતી.
પ્રિય વાંચકો,આ વાર્તા પરથી એમ સમજાવવા માંગું છું કે અન્યની વૃદ્ધિ વિશે વિચારશો તો સ્વની વૃદ્ધિ થશે,સ્વનો વિકાસ થશે.
એકવાર જાણીતા ઉદ્યોગપતિ રતન તાતાની સો કંપનીઓમાંથી એક કંપની તાતા મોટર્સ અધધધ ફડચામાં જતી હતી. તાતા મોટર્સના મેનેજર અને રતન ટાટાના બીજા સલાહકારોએ રતન તાતાને તાતા મોટર્સને બંધ કરી દેવા જણાવ્યું હતું.
રતન તાતાએ તે વખતે તેમના સલાહકારોને અને તાતા મોટર્સના મેનેજરને જણાવ્યું કે આપણે તાતા મોટર્સ બંધ કરીએ તો આ કંપનીમાં કામ કરતા હજારો કર્મચારીઓનું શું ? તે બધા બેરોજગાર થઈ જશે. હું તે લોકોની રોજગારી છીનવી શકું નહી.
રતન તાતા આગળ બોલ્યા કે આપણી સો કંપનીઓમાંથી બીજી ૯૫ કંપની નફો કરી રહી છે તેથી હું બીજી પાંચ નુકસાન કરતી કંપનીઓને બંધ કરી શકું નહી.તમે લોકો કંપની બંધ કરવાના બદલે એમ વિચારો કે આપણે એવું શું નવું કરી શકીએ કે આપણી કંપની નુકશાનમાંથી બહાર આવી શકે ? આપણે આપણા ગ્રાહકોને સસ્તુ, સારું, ટકાઉ અને ગુણવત્તાવાળુ શું સારું આપી શકીએ કે આપણી કંપનીમાં ગ્રાહકોનો રસ વધે ?
રતન તાતાની “અન્યની વૃદ્ધિ” વિશે વિચારવાની નીતિના કારણે આજે તાતા મોટર્સે જગુઆર, રેન્જ રોવર જેવી અનેક કંપનીઓને ટેકઓવર કરી લીધી છે.આમ આ લેખ પરથી એટલું જ કહેવા ઈચ્છું છું કે
“અન્યની વૃદ્ધિ વિશે વિચારશો તો સ્વની વૃદ્ધિ આપોઆપ થશે”.
જય બહુચર માઁ.