તાજેતરમાં ઈસ્કોન બ્રિજ ની ઘટના બની તે બાદ મારા કેટલાક ચાહકોનું કહેવું હતું કે સર,તમે અકસ્માત વિશે કંઈક લખો.
શરુઆત કરું મારી શાળાના શિક્ષકે શીખવેલી એક વાતથી.મારી શાળાના સંસ્કૃત અને અંગ્રેજીના શિક્ષક શ્રી વ્યાસ સરે મને એવું શીખવ્યું હતું કે આપણી ટ્રેન પાંચ વાગ્યાની હોય તો ચાર વાગે રેલવે સ્ટેશન પહોંચી જવું.ભલે ત્યાં એક કલાક બેસી રહેવું પડે પણ આપણે પાંચ વાગ્યાની ટ્રેન હોય અને જો ઘરે થી જ મોડાં નીકળીએ તો સમયનાં અભાવને લીધે આપણે વાહન ઝડપી ચલાવીએ ત્યારે આપણો અકસ્માત થાય છે.
બીજી વાત હું તમને એ શીખવાડું કે મારી પાસે એક્ટિવા અને કાર બંને છે.એકટિવા સિટીમાં ૪૦ ની ઝડપે અને મોટા રોડ પર ૬૦ ની ઝડપે ચલાવવું જોઈએ.આપણે સિટીમાં કાર ચલાવતા હોય તો ૪૦ ની ઝડપ યોગ્ય છે,મોટા રોડ પર ૬૦ ની ઝડપે ચલાવી શકાય.એક્સપ્રેસ હાઈવે પર ૮૦ થી ૧૦૦ ની ઝડપ બહુ થઈ ગઈ.જો આટલી ઝડપે ચલાવો છો તો તમે ચોક્કસથી તમારી ગતિને નિયંત્રિત કરી શકો છો.આવું દરેક યુવાન -યુવતીઓ એ શીખવા જેવું છે.માતા-પિતા આવી ચોક્કસથી બાળકોને સલાહ આપે કારણકે ઝડપની મજા ના કારણે તમારા કાં તો કોઈના જુવાનજોધ છોકરા હણાઈ જાય છે.
સરકાર જેને રોડ કે પુલ બનાવવાનો કોન્ટ્રાકટ આપે તે રોડ કે પુલમાં એક પણ ગાબડું કે ખાડો પડે તે કોન્ટ્રાક્ટર ને એ જ રોડ કે પુલ ફરીથી તેની પાસે નવો બનાવડાવીને આજીવન માટે તેનું લાઈસન્સ રદ કરવું જોઈએ.
નાનાં કે મોટાં રોડ પર એક પણ સ્ટ્રીટ લાઈટ બંધ થાય કે પછી રોડ યોગ્ય રીતે સાફ ના થયો હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર ને ૨૪ કલાકમાં સસ્પેન્ડ કરી દેવા જોઈએ.જો આવા બધા સખ્ત પગલાં લેવામાં આવે તો બધા જ શિસ્ત ના નિયમોનું પાલન કરે.
સરકારે રોડ પર જે પણ સીસીટીવી લગાવ્યા હોય તે યોગ્ય રીતે કામ ના કરે અથવા રેકોર્ડિંગ સેવ ના થાય તો સરકારે સીસીટીવીનું કામ જેને સોંપ્યું હોય તેને ૨૪ કલાકમાં સસ્પેન્ડ કરવો જોઈએ.
જે કોઈ પણ વાહનચાલક ઓવર સ્પીડ માં વાહન ચલાવતો ઝડપાય તેનું વાહન અને લાઈસન્સ આજીવન માટે જપ્ત કરી દેવું જોઈએ.આજીવન તેણે સાઈકલ ચલાવવી એવી સજા આપવી જોઈએ.
કાર બનાવતી કંપનીઓએ પણ એવી ક્રાંતિ લાવવી જોઈએ કે માતા- પિતા તેના સંતાનોને કાર ચલાવવા આપે ત્યારે તે કાર ૬૦ ની સ્પીડ પર માતા-પિતા ફ્રીઝ કરી શકે અને એનો અધિકાર ફક્ત માતા-પિતા પાસે જ હોય.હું મિકેનિકલ એન્જિનિયર હોત તો જરુરથી આવી કોઈ ક્રાંતિ લાવત પણ જો કોઈ મિકેનિકલ એન્જિનિયર મારો આ આર્ટિકલ વાંચતો હોય તો તેણે મારા આ આઈડિયા નો ઉપયોગ કરીને આવી કોઈ અનોખી ક્રાંતિ લાવવી.
અકસ્માતમાં મૃત્યુ થાય તો પરિવારજનો આજીવન પોતાના અંગત વ્યક્તિને ભૂલી ના જ શકે પણ જો અકસ્માતમાં તમારા શરીરનું એક પણ અંગ તૂટી ગયું તો તમે અને તમારો પરિવાર આજીવન હેરાન થાઓ છો એટલે ક્યાંય પણ પહોંચવા વહેલું નીકળવાનું અને વાહન ધીમું ચલાવવાનું.
બસ મારી સૌને આજે આટલી જ અરજ છે.
ઈસ્કોન બ્રિજ પર મૃત્યુ પામેલા તમામ મિત્રો ને પરમાત્મા શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને યોગ્ય ન્યાય મળે તથા આવા કપરા સમયમાં ઈશ્વર તેમને હિંમત આપે તેવી પ્રાર્થના કરું છું.
મારી એક સલાહ કે તમે જ્યારે પણ ઘરેથી બહાર જવા નીકળો ત્યારે ઈષ્ટદેવ અથવા કુળદેવી નું નામ લઈને નીકળવાનું.
જય બહુચર માં.