નિયતિને કોઈ નથી રોકી શકતું અર્થાત્ જે થવાનું હોય છે તે ચોક્કસ થાય છે તેને કોઈ નથી રોકી શકતું. નિયતિ એટલે નિયત સમયે થનારું. ચાહે સારું થવાનું હોય કે ખોટું તમે કે હું ગમે તેટલા પ્રયાસ કરીએ આપણે તેને રોકી શકતા નથી.
આવો એક ઉદાહરણ દ્વારા સમજાવું.
મારા વર્ષો જૂના ગ્રાહક ચંદુભાઈ તેમની અને તેમના પરિવારની બધી જ જન્મકુંડળીઓ મને બતાવે છે.ચંદુભાઈ મને કુંડળી બતાવ્યા વગર કોઈ જ કામ હાથ ના ધરે !
એક વખત મેં ચંદુભાઈને તેમની દીકરી નિશાની કુંડળી બાબતે અગાઉથી ચેતવણી આપી હતી કે નિશાની કુંડળીમાં પ્રેમ લગ્નના યોગ બને છે અને પ્રેમ લગ્ન કરે તેનો વાંધો નહી પણ સારું પાત્ર જોઈને કરે જેથી તેના લગ્નજીવનમાં અસંતોષ ના રહે.
ચંદુભાઈની વિચારધારા અત્યંત આધુનિક હતી.તેમણે મને કહ્યું હતું કે વિશાલભાઈ, મારી દીકરી નિશાને જે પાત્ર ગમે તેની સાથે હું તેના લગ્ન કરાવી આપીશ પણ પિતા હોવાને નાતે હું એવું ઈચ્છું કે મારી દીકરી એકવાર મને તે પાત્ર અંગે જરૂર જાણ કરે અને મને જાણ ના કરે તો કાંઈ નહી એ પાત્રની કુંડળી તમને પણ બતાવવા આવે અને તમે હા પાડો પછી મનેય કોઈ વાંધો નથી.
નિશાને તેના પિતાએ બધી રીતે છૂટ આપી હતી.નિશા તેના જીવનની બધી સારી-નરસી બાબતો મને કહેવા અને અવારનવાર મને કુંડળી પણ બતાવવા આવતી હતી.
એક દિવસ ચંદુભાઈ અને મારા માટે આધાતજનક ઘટના એવી બની કે નિશાએ અમને બંનેને અંધારામાં રાખીને લગ્ન કરી લીધા.લગ્ન તો સમાજમાં કર્યા હતા એટલે નાત-સમાજનો કોઈ વાંધો નહોતો પણ દુ:ખ એ બાબતનું હતું કે પિતાએ છૂટ આપી હોવા છતાં તેણીએ આમ કર્યુ અને મેં જેમ આગાહી આપી હતી એમ જ નિશાએ ભાગીને લગ્ન કર્યા હતા.
અહીં મને મારી આગાહી સાચી પડી એ બાબતની બિલકુલ ખુશી નહોતી પણ કયાંકને કયાંક મનમાં ડર એ બાબતનો હતો કે મારી બીજી આગાહી સાચી ના પડે તો સારું !
નિશાના લગ્ન થયાને માંડ એક વર્ષ પણ નથી થયું અને કાલે રાત્રે અચાનક નિશાનો મારી પર ફોન આવ્યો હતો.
નિશા ફોનમાં જોરજોરથી રડવા માંડી હતી. તેણીએ મને કહ્યું કે વિશાલભાઈ. હું આની સાથે લગ્ન કરીને ફસાઈ ગઈ છું. મારે અને આને રોજ ઝઘડા થાય છે. મારું કશું જ માનતો નથી. લગ્ન પહેલા બહુ મોટી મોટી વાતો કરતો હતો અને લગ્ન પછી તેના રંગ-રૂપ બધુ જ બદલાઈ ગયું છે.
નિશા આગળ બોલી કે વિશાલભાઈ, I am Sorry. મેં તમને અને મારા પપ્પાને અંધારામાં રાખ્યા. કાશ ! મેં આવું ના કર્યું હોત.
મેં નિશાને એક જ વાક્યમાં સમજાયું કે નિયતિને કોઈ નથી રોકી શકતું. જે થવાનું હોય છે તે જરૂર થાય છે.
તારા પપ્પાએ તને છૂટ આપી હતી. હું તારી સાથે હતો, તને પણ એ પણ ખબર હતી કે તું મને કુંડળી બતાવવા આવતી તો હું તને ખાડામાં ના પડવા ના દેતો છતાંય તે આમ કર્યું અર્થાત્ નિશા તારી નિયતિ તે તારી જાતે લખી છે.આમાં હું કે તારા પપ્પા કોઈ જ કંઈ કરી શકે તેમ નથી.
આજના યુવાનો અને યુવતીઓને આ લેખ દ્વારા એટલું કહેવા માંગુ છું કે તમારા માતા-પિતા સૌથી મોટા જયોતિષ હોય છે. તમને ચાહે ગમે તે પાત્ર પસંદ પડે પણ એકવાર માતા-પિતાને જરૂર બતાવી દેજો. તેમને અમારી જેમ કુંડળી જોવાની પણ જરૂર નથી પડતી. તેઓ એક નજરમાં તમારું પાત્ર તમને લગ્ન પછી સુખી રાખશે કે નહી તે તરત પારખી લેતા હોય છે.
જય બહુચર માઁ.