મને એકવાર મારી મિત્રએ સવાલ પૂછયો હતો કે માં અંબાની સવારી કઈ ? મે કહ્યું : સિંહ.મને એણે કહ્યું વાઘ નહી ? મેં કીધુ વાઘ એ માં ના કોઈ ભકતની કાલ્પનિક દ્રષ્ટિ છે. હકીકત એમ છે કે અંબાજી અને ગબ્બર પાસેના જંગલોમાં વાઘની ખૂબ જ સંખ્યા હતી અને ત્યારબાદ માં અંબાના કોઈ ભકતે માં ની સવારી વાઘ નિર્ધારિત કરી હશે.
શાસ્ત્ર પ્રમાણે માં અંબા એ દુર્ગાનું સ્વરૂપ છે અને માં અંબાની સવારી સિંહ છે.એક પુરાણી કથા પ્રમાણે શિવને પતિ તરીકે પામવા માટે દેવી પાર્વતીએ ધણા વર્ષો સુધી આકરી તપસ્યા કરી હતી. આ તપસ્યાના કારણે પાર્વતીજી થોડા શ્યામ થઈ ગયા. લગ્ન પછી એકવાર શિવજીએ પાર્વતીજીને મજાકમાં કાળા કહી દીધા. પાર્વતીજીને આ વાત ગમી નહી અને પોતે ગોરા થવા માટે એક જંગલમાં જઈને તપસ્યા કરવા લાગ્યા. પાર્વતીજી જયાં તપસ્યા કરી રહયા હતા ત્યાંથી એક સિંહ પસાર થયો અને માતાની બાજુમાં આવીને બેસી ગયો.
થોડા સમય પછી શિવજી પ્રસન્ન થયા અને પાર્વતીજીને ગોરા થવાનું વરદાન આપ્યું. પાર્વતીજીએ આંખો ખોલીને જોયું તો તેમની બાજુમાં સિંહ બેઠો હતો. તેમને થયું કે મેં જેવી આકરી તપસ્યા કરી એવી જ આ સિંહે તપસ્યા કરી છે તેથી પાર્વતીજીએ સિંહને પોતાની સવારી બનાવી દીધો.
દેવી ભાગવતમાં પણ માં અંબા મહિષાસુર, શુંભ-નિશુંભ, રકતબીજ જેવા રાક્ષસોનો વધ કરે છે ત્યારે સિંહ પર સવાર હોય છે.
જેણે પણ માં અંબાની સવારી વાઘ છે એવી કલ્પના કરી હોય એનાથી મને કોઈ જ વાંધો નથી.બની શકે તે માંઈભકતને માં અંબાએ વાઘ પર બિરાજીને દર્શન આપ્યા હોય અને હું પણ માં અંબા માટે લખાયેલો પ્રાચીન ગરબો ગાવું જ છું કે તારા ડુંગરથી ઉતર્યો વાઘ રે મારી અંબાજી માં……….
જય અંબા માં.જય બહુચર માં.