શરીરને તંદુરસ્ત રાખવા જેમ ભોજન કરવું પડે.કસરત કરવી પડે તેમ આપણા જ્ઞાનને વધારવા માટે રોજ અભ્યાસ કરવો પડે છે. અમે અમારા રોજબરોજના અભ્યાસ દરમ્યાન જયોતિષશાસ્ત્રમાં સંશોધનના ભાગરૂપે જન્મકુંડળી વિશે કેટલીક ન જાણી હોય તેવી વાતો આજે જણાવીશું.
જન્મકુંડળીમાં સ્વગૃહી ગ્રહો,ઉચ્ચના ગ્રહો કે મિત્રક્ષેત્રી ગ્રહો જોઈને કયારેક ખુશ થવું નહી કારણકે આ ગ્રહોનું બળ નક્ષત્ર નક્કી કરે છે. જો વિપરીત નક્ષત્ર હોય તો સ્વગૃહી ગ્રહ કે ઉચ્ચનો પણ ગ્રહ હોય તો પણ તે ગ્રહ ફળ આપવા માટે સક્ષમ રહેતો નથી. ઉદાહરણ આપીને સમજાવું તો કન્યા રાશિમાં બુધ ઉચ્ચનો થાય છે પણ જો બુધ હસ્ત નક્ષત્ર બળ પ્રાપ્ત કરતો હોય તો તે વિપરીત ફળ આપે છે કારણકે હસ્ત નક્ષત્ર ચંદ્રનું છે. બુધ ચંદ્ર સાથે કટ્ટર શત્રુતા રાખે છે.
દર બે જન્મકુંડળીમાંથી એક કુંડળીમાં સૂર્ય-બુધનો “બુધાદિત્ય યોગ” થતો જોવા મળે છે પણ શું આ બુધાદિત્ય યોગ દરેક કુંડળીમાં ફળ આપે છે ? ના,એવું હોતું નથી.સૂર્ય અને બુધ અંશાત્મક રીતે યુતિમાં હોવા જોઈએ અને બંને ગ્રહો મિત્ર રાશિમાં પણ હોવા જોઈએ. ધારો કે સૂર્ય બુધની યુતિ તુલા રાશિમાં થતી હોય તો તેને બુધાદિત્ય યોગ કહી કહી શકાય નહી કારણકે સૂર્ય તુલા રાશિમાં નીચનો થઈ જાય છે.
જન્મકુંડળીમાં ભાગ્યેશની ભૂમિકા અતિમહત્વની હોય છે.કોઈ “Born with Golden spoon” (અમીર ઘર) માં જન્મયું હોય છે તો કોઈ ગરીબ ઘરમાં જન્મીને અમીર થાય છે તો અહીંયા બંને જાતકોની કુંડળીનો ભાગ્યેશ અલગ અલગ રીતે કાર્ય કરતો હોય છે. ઉદાહરણ તરીકે કોઈ જાતકનો ભાગ્યેશ ધન સ્થાનમાં હોય તો તે જાતક ધનવાન કુંટુંબમાં જન્મયો હોય છે જયારે કોઈ જાતકનો ભાગ્યેશ દેહસ્થાનમાં હોય તો જાતક પોતાનું ભાગ્ય જાતે લખે છે.
જન્મકુંડળીમાં સંતાન સ્થાન ગમે તેટલું બળવાન હોય પણ સંતાનનો કારક ગુરુ નબળો હોય તો સંતાન માટે સમસ્યા સર્જાય છે. ઉદાહરણ તરીકે એક બેનની જન્મકુંડળીમાં સંતાન સ્થાનમાં સિંહનો સ્વગૃહી સૂર્ય હતો તેથી સંતાન સ્થાન બળવાન હતું પણ બેનની કુંડળીમાં ગુરુ સંતાનનો કારક હોઈ વક્રી થઈને ખાડે પડયો હતો અને શનિની પૂર્ણ દષ્ટિમાં હતો. બેનને લગ્નના સાત વર્ષ પછી કેટલીય બાધાઓ આખડીઓ રાખ્યા પછી સંતાન થયું.
જન્મકુંડળીમાં જીવનસાથીના સ્થાનમાં જે રાશિ આવે છે તેવી પ્રકૃતિનું જીવનસાથી મળે છે પણ જો તે સ્થાનમાં કોઈ ગ્રહ બિરાજમાન હોય તો તે જીવનસાથીની થોડી ઘણી પ્રકૃતિ તે ગ્રહ જેવી પણ આવે છે ઉદાહરણ તરીકે કોઈ પુરુષની જન્મકુંડળીમાં જીવનસાથીના સ્થાનમાં કુંભ રાશિ આવી તો તેની જીવનસંગીનીની પ્રકૃતિ ધાર્મિક અને આધ્યાત્મિક હોઈ શકે છે પણ જો કુંભ રાશિમાં મંગળ હોય તો તેની જીવનસાથી પરાક્રમી અને સાહસી પણ હોઈ શકે છે.
જન્મકુંડળીથી તમારી કુલ સંપત્તિ ( Net worth ) કેટલી થશે અથવા Accumulated wealth ( સંચય સંપત્તિ ) કેટલી થશે તેમ જાણી શકાય છે તે માટે ઘણા પરિબળો ચકાસવા પડતા હોવાથી અહીં ઉદાહરણ લખી શકું તેમ નથી.
જન્મકુંડળી દરેક સંબંધોને દર્શાવે છે. માતા-પિતા, ભાઈ-બહેન, કાકા-કાકી, મામા-ફોઈ, સાસુ-સસરા, દાદા-દાદી, મિત્રો, નોકર-ચાકર એમ તમામ સંબંધોને દર્શાવે છે અને કોની સાથે કેટલું સારું બનશે તે પણ જન્મકુંડળી સ્પષ્ટ રીતે દર્શાવે છે.
તમારી જન્મકુંડળી અમને તેમ કહી શકે છે કે આગળના ભવિષ્યમાં તમે કયા રોગથી પીડાવાના છો અને તે રોગનું નિદાન થશે કે પછી તે જ રોગના કારણે મૃત્યુ થશે આમ આવી તમામ બાબતોની જાણકારી જન્મકુંડળીથી પ્રાપ્ત થઈ શકે છે.
જયોતિષશાસ્ત્રની આવી જ કેટલીક ના જાણેલી વાતો સાથે લઈને પછી કયારેક આવીશું.
જય બહુચર માઁ.