મિત્રો, હું જયોતિષ ક્ષેત્રે અનોખી ક્રાંતિ લાવવા માંગું છું. હું આ શાસ્ત્રને અટપટુ અને અધરું કરવાના બદલે સરળ અને લોકભોગ્ય બનાવવાનો પ્રયત્ન કરવા માંગું છું. આ શાસ્ત્રથી કોઈને ડરાવવા કે રડાવવા કરતા હસાવવા માંગું છું. આવા જ લોકહિતના હેતુથી વાંચો આજનો ઉત્તમ લેખ…
હમણા જ એકાદ અઠવાડિયા પહેલા આપણા ગુજરાત સરકાર માં ઉચ્ચ અધિકારી પદે કાર્ય કરતા સજજન માણસ તેમના શોખના હેતુથી મારી એપોઈમેન્ટ લઈને કુંડળી બતાવવા આવ્યા હતા.
આ ભાઈની કુંડળીમાં એક પણ ગ્રહ સ્વગૃહી કે ઉચ્ચનો નહોતો પરંતુ તેઓ સરકારમાં ઉચ્ચ પદવી પર હતા.
વાંચકો, જયોતિષ શાસ્ત્રમાં એવો સામાન્ય નિયમ છે કે જેનો સૂર્ય સારો હોય અર્થાત્ સૂર્ય સ્વગૃહી કે ઉચ્ચનો હોય તે જાતક સરકારમાં હોય છે અથવા સરકારી અધિકારીઓ સાથે તેને સારા સંબંધ હોય છે. પરંતુ આ ભાઈનો સૂર્ય મકર લગ્નની કુંડળીમાં પાંચમા સ્થાનમાં શુક્રની રાશિમાં હતો.
ધણા જ્યોતિષીઓ એવું માને છે કે સૂર્ય શુક્ર ની રાશિમાં શત્રુ ક્ષેત્રી થયો કહેવાય છે તો તે એટલો ફળદાયી ના થયો કહેવાય. આ વાત સાથે હું પણ સહમત છું પરંતુ અહીં પ્રશ્ન એમ થાય છે કે આ ભાઈની કુંડળીના સૂર્યમાં બળ નથી તો સરકારમાં કેવી રીતે ?
વાંચક મિત્રો, મેં મારા પીએચડીના અભ્યાસ દરમિયાન ઘણા સંશોધનો કર્યા હતા. એમાં સાઉથના ધૂરંધર જ્યોતિષી એ.વી.સુંદરમ સરની થીયરી મને યાદ આવી અને મને મારા પ્રશ્નનો જવાબ મળી ગયો.
એ.વી.સુંદરમ સર ના મત અનુસાર ગ્રહ કુંડળીમાં ભલે સ્વગૃહી કે ઉચ્ચનો ના થતો હોય. જાતકે ચિંતા કરવાની કોઈ જ જરુર નથી. સુંદરમજી કહે છે કે ગ્રહ કોઈ પણ ખાનામાં કે રાશિમાં હોય ત્યાંથી તે ગ્રહ ઉચ્ચનો થતો હોય તેટલા ખાના ગણી લેવા. ભલે ત્યાં કોઈ પણ રાશિ હોય કે કોઈ પણ ગ્રહ હોય તે ખાના પર જે તે ગ્રહની હંમેશા મહેરબાની રહે છે.
ઉદાહરણ તરીકે ઉપર લખેલા સરકારી અધિકારીની મકર લગ્નની કુંડળીમાં સૂર્ય વૃષભ રાશિમાં હતો. (જો કે સૂર્ય ની ઉચ્ચ રાશિ મેષ છે ) પરંતુ સુંદરમ સાહેબ ની થીયરી એપ્લાય કરતા સૂર્ય જે રાશિમાં બિરાજમાન છે ત્યાંથી નવમું ઘર ગણવું. આ નવમા ઘર પર હંમેશા સૂર્ય ની મહેરબાની રહે છે અને આ ધરને સૂર્ય હંમેશા પ્રકાશિત રાખે છે કારણકે સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચનો થાય છે. આમ સુંદરમ સરની થીયરી અનુસાર વૃષભના સૂર્યથી નવમાં ધરમાં મકર રાશિ આવે છે જે તે સરકારી અધિકારીની કુંડળીના લગ્નમાં મકર રાશિ છે માટે તેમનો સિતારો સરકારમાં ચમકતો હતો.
માની લો કે કોઈ જાતકની ધન લગ્નની કુંડળીમાં શુક્ર કર્ક રાશિમાં છે તો શુક્રથી છઠ્ઠું ઘર ગણવું. અહીં લગ્ન પર જ શુક્રની મહેરબાની થશે તેથી જાતક દેખાવડો અને સ્માર્ટ પર્સનાલિટી ધરાવતો હશે. તમે પૂછશો છઠ્ઠુ ધર કેમ ?
વાંચકો તમે જાણો છો એમ શુક્ર તુલા રાશીમાં સ્વગૃહી થાય છે પરંતુ તુલાથી છઠ્ઠા ધરમાં મીન રાશિમાં શુક્ર ઉચ્ચનો થાય છે. અહીં ધન લગ્નની કુંડળીમાં કર્ક રાશિમાં શુક્ર છે અને કર્ક રાશિથી છઠ્ઠુ ઘર ધન રાશિ આવે છે તેથી જાતક સ્માર્ટ પર્સનાલિટી ધરાવતો હોય છે.
વાંચકો, જ્યોતિષને તર્ક, સંશોધન, ગણતરી અને અનુભવોના આધારે સમજવું જોઇએ.કોઈ એમ કહે કે હું આ વિદ્યામાં પૂર્ણ છું તો તે તદન ખોટું બોલે છે.
જય બહુચર માં.