એક વખત સોની કામ કરતા બિપીનભાઈ મને વર્ષ ૨૦૧૭ માં તેમની જન્મકુંડળી બતાવવા આવ્યા હતા. તેમણે તેમના જીવનના પંદર વર્ષ માણેકચોકમાં છુટુ છવાયું સોની કામ કરીને પરસેવો પાડી દે તેવો સંધર્ષ અને મહેનત કરી હતી.બિપીનભાઈ કેટલાય સમયથી જવેલરી શો રૂમ ખોલવાની ઈચ્છા ધરાવતા હતા પણ તેમને કયારેક પૈસાની ખોટ આવી જતી, કયારેક ઘર ખર્ચ આવી જતો તો કયારેક ઘંધામાં નુકશાન આવતું હતું અને કંઈક એવું બહાનું આવી જાય કે શો રૂમ નહોતા ખોલી શકતા.
એક વખત બિપીનભાઈ મારો કલ્સટેશન ચાર્જ ચુકવીને તેમની કુંડળી મને બતાવવા આવ્યા હતા. મેં કુંડળી ખોલીને જોયું તો એક જવેલરી શો રૂમના માલિકની કુંડળી હોય તેવા ગ્રહો હતા પણ માથામાં ખંજવાળ ઉદભવે તેવો પ્રશ્ન એમ હતો કે કુંડળીના ગ્રહો તો એક જવેલરી શો રૂમના માલિકના હોય તેવા છે તો બિપીનભાઈ શો રૂમ કેમ નથી ખોલી શક્યા ?
જયોતિષશાસ્ત્ર એટલું ગૂઢ છે કે તેમાં એકાદ બાબત જોઈને પરામર્શ પર ના પહોંચી શકાય કારણકે જયોતિષશાસ્ત્રમાં લગ્ન કૂંડળી, નવમાંશ કુંડળી, દશમાંશ કુંડળી, ગ્રહોની અવસ્થા, ગ્રહોનું બળાબળ, ગ્રહોના નક્ષત્રો તથા ઉપનક્ષત્રો, દશા-આંતરદશા એમ દરેક બાબતોનું વિશ્લેષણ કરવું જરૂરી છે.
આમ આ તમામ બાબતોના વિશ્લેષણ બાદ મારી નજર બિપીનભાઈની કુંડળીની દશા સંધિ ઉપર ગઈ અને મેં તેમને પરામર્શ આપતા કહ્યું કે આવનારા ૨૦ મહિના તમે શો રૂમ કયાં લેવો, શો રૂમનું ઈન્ટીરીયર, શો રૂમમાં રાખવાનો પૂરતો સ્ટોક, શો રૂમનો સ્ટાફ આ બધી વ્યવસ્થા ધીમે ધીમે કરો તમે ૨૧ મહિને શો રૂમની ગાદી પર ચોકકસ બિરાજમાન થશો.
બિપીનભાઈ મારા માર્ગદર્શન મુજબ ચાલ્યા અને અત્યારે તેઓ એક જવેલરી શો રૂમના માલિક થઈને તેમના સોની સમાજમાં શાખ ધરાવે છે. (અહીં પ્રાઈવસી રાખવા માટે શો રૂમના માલિકનું નામ બદલેલ છે )
હવે ઉપર લખ્યું છે તેમ દશા સંધિ મેં જોઈ તો આ દશા સંધિ શું છે તે વિશે મારા થોડા ઘણા જ્ઞાનનો પ્રકાશ પાડું.ચાલો ઉદાહરણ દ્વારા જ સમજાવું.
ઉદાહરણ આપું તો બિપીનભાઈની કુંડળી એકદમ સારી જ હતી અર્થાત્ તેઓ હકીકતમાં શો રૂમના માલિક થઈ શકે
તેવા ગ્રહો કુંડળીમાં હતા પણ મૂળ તેઓ રાહુની મહાદશામાં છેલ્લા પંદર વર્ષથી પીડાઈ રહ્યા હતા એટલે બિચારા આટલો સંધર્ષ કરવા છતાં શો રૂમનું સપનું સાકાર નહોતા કરી શક્યા. હવે મેં તેમની દશા સંધિ જોઈ અને પરામર્શ આપ્યું.
દશા સંધિ એટલે એક ગ્રહની મહાદશા પૂર્ણ થવાનો સમય અને બીજા ગ્રહની મહાદશા શરુ થવાનો સમય.આ બંને ગ્રહોની દશાના વચ્ચેના સમયગાળાને દશા સંધિ કહે છે.
દશા સંધિની ગણતરી કંઈક આવી રીતે થાય છે જેમ કે રાહુની મહાદશા ૧૮ વર્ષની હોય છે.રાહુની મહાદશા પૂર્ણ થાય ત્યારબાદ તરત જ ગુરુની મહાદશા આવે છે. ગુરુની મહાદશા ૧૬ વર્ષની હોય છે. આ બંને મહાદશાનો સરવાળો કરો તો ૩૪ થાય છે. આ ૩૪ ના ૧૦ % કરો તો દશા સંધિ મળે છે અર્થાત્ દશા સંધિ ૩.૪ થઈ. (બિપીનભાઈની દશા સંધિ ૩ વર્ષ અને ૪ મહિનાની થઈ કહેવાય.)
૩ વર્ષ એટલે ૩૬ મહિના અને ૪ મહિના બીજા એટલે ટોટલ ૪૦ મહિના.દશા સંધિ રાહુની મહાદશાના અંતિમ ૨૦ મહિનાથી ગુરુની મહાદશાના શરૂઆતના ૨૦ મહિના સુધી એમ ટોટલ ૪૦ મહિના ફળ આપે છે.
પ્રિય વાંચકો, રાહુની મહાદશામાં કશુંય તમારી ઈચ્છા અનુસાર નથી મળતું. તમારી પાસે ગમે તેટલી કળા હોય, આવડત હોય, તમારી રાત-દિવસની મહેનત હોય કે ગમે તેટલું જ્ઞાન હોય તમે તમારા સપના સાકાર કરી શકતા નથી જયારે ગુરુની મહાદશામાં તમને બધુ જ તમારી ઈચ્છા મુજબ પ્રાપ્ત થતું હોય છે.
દશા સંધિ દરમ્યાન બિપીનભાઈ રાહુના કુંડાળામાંથી ધીમે ધીમે બહાર આવીને અંતિમ ૨૦ મહિના ગુરુની મહાદશા તરફ પ્રયાણ કરવાના હતા તેથી તેમના જીવનમાં રાહુનો પ્રભાવ ઘટતો જઈ રહ્યો હતો અને ગુરુનો પ્રભાવ પડવાની શરૂઆત થઈ રહી હતી. બાકીના જે વીસ મહિના છે તે ગુરુની મહાદશામાં ચોક્કસ લાભ પ્રાપ્ત કરવાના જ હતા અને તેમણે શો રૂમ કર્યા પછી પણ અનેકો લાભ પ્રાપ્ત કર્યા છે.
રાહુની મહાદશા પૂર્ણ થાય ત્યારે ગુરુની મહાદશામાં વ્યક્તિને તમામ દુન્યવી સુખો પ્રાપ્ત થાય છે પણ સારા સમયમાં કયારેય છકી ના જવું કારણકે ગુરુની મહાદશા પૂર્ણ થાય ત્યારબાદ તરત જ શનિની મહાદશા શરૂ થતી હોય છે.
અંતિમ અપવાદ – એક બેન મારી પાસે આવ્યા હતા.તેમની કુંડળીમાં ગુરુની મહાદશા આખી પૂરી થઈ ગઈ. કુંડળીમાં ગુરુ ઉચ્ચનો હતો પણ તોય તે બેનને ગુરુની મહાદશાનું ફળ મળ્યું નહી. (આમ કેમ થયું તે મારા આવનારા લેખમાં જણાવીશ )
જય બહુચર માઁ.