હમણા જ બે ત્રણ દિવસ પહેલા અમારા ફેસબુક પેજ પર મેસેજ આવ્યો હતો કે ચુંવાળ પંથકમાં આવેલ શ્રી બહુચરાજી મંદિરમાં માતાજીની સાત દિવસની અલગ અલગ સવારી કેમ હોય છે ? કાલે પણ પેજ પર કોઈ ભાઈએ મેસેજ કર્યો કે શ્રી બહુચરમાંની સવારી કૂકડો છે તો શુક્રવારે મોર પર સવારી કેમ ?
મને માતાજીએ એકવાર સદવિચાર આપ્યો હતો એ જ વિચાર અને એ જ કલ્પના આજે વિસ્તારપૂર્વક વર્ણવું છું કે શ્રી બહુચરમાં આદિ પરાશક્તિ જગદંબાનું બાળ સ્વરુપ છે પરંતુ જગદંબા પોતે જ એવું ઈચ્છતી હોય કે પોતાના અલગ અલગ સ્વરુપોના દર્શન માંઈભકતો કરે તેથી જ કરીને તેઓ અલગ અલગ સવારી પર બિરાજીને પોતાના ભકતોને પોતાના વિવિધ સ્વરૂપોના દર્શન કરાવે છે.
સોમવારે શ્રી બહુચરમાં નંદી પર બિરાજે છે એટલે તેઓ પાર્વતી સ્વરુપ હોઈ શકે. મંગળવારે માં સિંહ પર બિરાજે છે તેથી તેઓ જ નવદુર્ગા છે. બુધવારે માં વાઘ પર બિરાજે છે માટે બની શકે તેઓ અંબા છે. ગુરૂવારે માં હંસ પર બિરાજે છે કદાચ તેઓ ગાયત્રી પણ હોય. શુક્રવારે માં મોર પર બિરાજે છે જાણે તેઓ કુમારિકા સ્વરૂપ હોય. શનિવારે માં હાથી પર બિરાજે છે જાણે સ્વયં મહાલક્ષ્મી જ છે. રવિવારે તથા પૂનમે માં કૂકડા પર બિરાજે છે કારણકે તે બાળા છે.આ બધી જ માતાએ મારે મન ઉપજાવેલ કલ્પના છે.
દેવી ભાગવતમાં માં જગદંબા સ્વયં કહે છે કે “પૃથ્વી પરના દરેક મનુષ્યની સાથે સાથે દરેક પ્રાણી, પશુ-પક્ષી, જીવજંતુનું પાલન પોષણ હું કરું છું.
સિંહ અને વાઘ જેવા હિંસક પ્રાણીઓ માં જગદંબાના તાબામાં રહે છે.
નંદી ખેતી કરીને આપણને અનાજ આપે છે.
સૌમ્ય પ્રકૃતિના મોર અને હંસ આપણને સૌમ્ય અને શાંત રહેવાનું શીખવે છે.
હાથી એના મૃત્યુ પછી પણ સમાજને ઉપયોગી થાય છે.
કૂકડો એના ટહુકાથી આપણી રોજની સવાર આનંદમય કરે છે.
શ્રી બહુચરમાંનું મંદિર શકિતપીઠ છે અને ત્યાં વિદ્વાન બ્રાહ્મણો માતાજીની સેવા પૂજા કરીને માં ની એકદમ નજીક રહે છે.
જે માતાજીની ખૂબ જ નજીક હોય ને એમને માતાજીની વિવિધ સવારીનો સારો વિચાર પ્રેર્યો હોય, માઁ ના પ્રિય વિદ્વાન બ્રાહ્મણોને માં બહુચરે આવી સદબુદ્ધિ આપી હશે તેથી જ માં બહુચર સાત દિવસ સાત વિવિધ સવારી પર બિરાજીને પોતાના સાત અલગ અલગ સ્વરુપોના દર્શન કરવાનો આપણને લ્હાવો આપે છે.
બોલો જય બહુચર માં.