વાંચકો, રોજ હું આ બધા આર્ટિકલ લખું છું ને તો કેટલાય લોકો મને જાણકાર વ્યક્તિ સમજીને અથવા મારી પાસે કોઈ ઈશ્વરીય શક્તિઓ છે તેમ સમજીને મારી પાસે આવતા હોય છે તેથી હું તે તમામ લોકોને જણાવું છું કે હું કોઈ ભૂવાજી, તાંત્રિક કે સિદ્ધપુરુષ બિલકુલ નથી અને મારી પાસે કોઈ ઈશ્વરી શક્તિ ય નથી કે કોઈના ભૂત પ્રેત ઉતારી શકું.હું માત્ર લેખક અને જયોતિષ છું.
છતાં આજે મારે આ બાબતે તમને બધાને કંઈક સમજાવું છે તે ઉદાહરણ દ્વારા સમજાવી શકીશ હમણા બે અઠવાડિયા પહેલા એક બેને મારી પર ફોન કરીને મને કહ્યું કે “કોઈએ અમારી પર મેલું કર્યુ છે.” એક ભાઈ મને ફોન કરીને કહેતા હતા કે “અમારા ઘરમાં પ્રેત ફરે છે”. એક છોકરી મને ફોન કરીને કહે છે કે મારા સાસુએ મારી પર કંઈ કરી નાંખ્યું છે તો એક ઘરડા માજી મને ફોન કરીને કહે છે કે મારી વહુએ મને કંઈક ખવડાવી દીધુ છે. આ બધાને હું જવાબ આપી આપીને થાકયો તેથી તમને બધાને સત્ય સમજાય તે માટે અહીં લખું છું.
જેમ પૃથ્વી પર હકારાત્મક શક્તિઓ છે તેમ નકારાત્મક શક્તિઓ પણ છે જેને આપણે ભૂત પ્રેત પિશાચ ડાકણ વગેરે કહીએ છીએ. આ દરેક નકારાત્મક શક્તિઓ મહાદેવજીને શરણાગત થાય છે તેથી મહાદેવજીના વીરભદ્ર અવતાર, મહાદેવજીના અગિયારમાં રૂદ્ર અવતાર હનુમાનજી અને દેવી શક્તિઓની ઉપાસના કરવાથી નકારાત્મક શક્તિઓ ભાગી જતી હોય છે.
હવે આવીએ આ મેલુ ધેલુ કર્યાની વાત પર. મેલુ ધેલુ કરવું, ખવડાવી દેવું, મૂઠ મારવી, તંત્ર ક્રિયા કરવી, આ બધી વસ્તુઓને દૂર કરવાના અનેક તોડ છે જેમ કે તમારા ઘરે કુળદેવીનો દીવો કરીને દુર્ગા સપ્તશતી ચંડીપાઠ તમારે જાતે વાંચવો અથવા બ્રાહ્મણ પાસે સંકલ્પ લઈને કરાવવો, ધરે નવચંડી યજ્ઞ કરવો, ભૈરવની ઉપાસના કરવી, નૃસિંહ ચાલીસા વાંચવી, દરરોજ શ્રી હનુમાનજીનો દીવો કરીને એકાવન હનુમાન ચાલીસા કરવી અથવા દરરોજ ઘરે હનુમાનજીનો દીવો કરીને સુંદરકાંડના પાઠ કરવા.
આ બધુ કરો તો દુનિયાના બધાય મેલા ઘેલા અને ભૂત પ્રેત ભાગી જાય પણ સગવડિયા લોકોને જાતે આ બધુ કરવું નથી હોતું.
પણ એ સગવડિયા લોકોને હું કંઈક જાદુ કરુ અને એમના ઘરના ભૂત પ્રેત અને મેલા ધેલા જતા રહે તેમ સગવડ જોઈતી હતી ને આવો જાદુ મને કરતા આવડતો નથી.
તમને ભૂત પ્રેતથી તકલીફ છે તો તમે જાતે જ તમારા ઘરે સુંદરકાંડના દરરોજ પાઠ કરીને ભૂત પ્રેત ભગાડી શકો છો પણ કોઈને આમ કરવું નથી હોતું.
જો આ બધુ તમે જાતે કરો તો તમે જાતે જ ભૂત પ્રેત અને મેલુ ઘેલુ ભગાડી શકો છો કારણકે ઈશ્વર અને ઈશ્વરના પાઠમાં જે તાકાત છે તે કોઈનામાં નથી.
શ્રી તુલસદાસજી શ્રી હનુમાન ચાલીસામાં લખે છે કે
ભૂત પિશાચ નિકટ નહી આવે,
મહાવીર નામ સુનાવે.
જય શ્રી રામ
જય હનુમાન દાદા
જય બહુચર માં.