મારી જોડે કુંડળીનું પરામર્શ લેવા આવતા કેટલાય જાતકો મને પૂછતા હોય છે કે શેરબજારમાં મૂડી રોકવી કે નહી ? જરા જુઓ તો ખરી અમને શેરબજારમાં મૂડી રોકાણ કરવાથી ફાયદો થશે કે નહી ? કયા શેર લેવાથી ફાયદો થશે ? જાતકના આવા તમામ પ્રશ્નોના નિરાકરણ માટે જન્મકુંડળીનો સૂક્ષ્મ અભ્યાસ જરૂરી છે અન્યથા જાતકને શેરબજારમાં લટકી જવાનો વારો આવે.
જયોતિષશાસ્ત્રમાં શનિ શેરબજાર સાથે સંકળાયેલો છે. આપણા ઋષિમુનિઓએ પણ “શેરબજાર” માટે “શનિ”ને જવાબદાર ગણ્યો છે.
તમારી જન્મકુંડળીમાં તમારા શનિની સ્થિતિ પ્રમાણે તમારે શેરબજારમાં પડવું જોઈએ એ માટે તમારો શનિ સ્વગૃહી, ઉચ્ચનો, ઉચ્ચ ડિગ્રીનો, મિત્ર ઘરનો તથા કોનું નક્ષત્રબળ પ્રાપ્ત કરે છે તે ચોકકસથી જાણવું જોઈએ.
જન્મકુંડળીનું પાંચમું સ્થાન શેરબજારનું છે તેથી જો પાંચમાં સ્થાનનો અધિપતિ સ્વગૃહી હોય, ઉચ્ચનો હોય અથવા લાભ સ્થાનમાં હોય તેવા જાતકોએ શેરબજારમાં લાંબા ગાળાનું રોકાણ કરવું જોઈએ.
જન્મકુંડળીમાં પાંચમાં સ્થાનનો સ્વામી પાપ ગ્રહોથી દૂષિત હોય, આખુંય પાંચમું સ્થાન પાપકર્તરીમાં હોય અને કુંડળીનો શનિ દૂષિત થતો હોય તેવા જાતકોએ ભૂલથી શેરબજાર અડવું નહી નહીતર શેરબજારની મૂડી મહુડીની સુખડીની જેમ ઘરે લાવી શકશો નહી.
શનિ મંદ ગ્રહ છે ખરો પણ સાથે તે અર્થવ્યવસ્થાનો પણ કારક છે તેથી કુંડળીમાં સારો કે ઉચ્ચનો શનિ પણ લાંબા ગાળાનું રોકાણ કર્યું હોય એવા શેર્સમાં જ લાંબા ગાળે જ ફાયદો આપે છે બાકી ઈન્ટ્રાડે કર્યુ તો મર્યા સમજો કારણકે Intraday કરવામાં તમારા શનિની સાથે સાથે તમારી જન્મકુંડળીમાં રહેલા ચંદ્રની શુભ સ્થિતિ હોવી જરૂરી છે એનું કારણ ચંદ્ર રોજિંદા જીવનનો કારક છે.
હાલ ગોચરમાં કુંભનો સ્વગૃહી શનિ ચાલતો હોવાથી પેટ્રોકેમિકલ્સ, ઓઈલ, લોખંડ, જમીનની અંદર નીકળતા ખનીજતત્વો, તેલ, લાકડું, વાહનો, મશીનો, ચામડું વગેરે બાબતોને લગતા શેર્સની ખરીદી કરી શકો છો.
બીજી એક વાત ધ્યાનમાં લેવા જેવી કે નાના કે મધ્યમ વર્ગના લોકોને પણ આ બધા શેરની ખરીદીથી ફાયદો થશે. શનિ શુક્રનો નૈસર્ગિક મિત્ર હોવાથી લકઝુરિયસ વસ્તુઓને લગતા શેર્સ ખરીદી કરી શકો છો પણ આ બધું લાંબા ગાળાનું રોકાણ કરવું નહીતર નહી.
ઘણાય જાતકો શેરબજારની અનાવૃષ્ટિમાં નાહીને ઘણું બધું નુકસાન કરે છે તે લોકોએ રાજા દશરથ રચિત “શ્રી શનૈશ્વર સ્તોત્ર” નો પાઠ કરવો તો ફરીથી પાછા નુકસાન કવર કરીને ઉભા થઈ શકો છો..
શેરબજારમાં મૂડી રોકવી કે નહી તે જયોતિષીય પરામર્શ લઈને પરાક્રમ કરવું નહીતર મૂડી ય જતી રહેશે અને મિલકતો ય જતી રહેશે પછી દેવાળિયા થઈ જવાનો વારો આવશે તેથી જે કંઈ પણ કરવું તે સમજી વિચારીને કરવું.
જય બહુચર માં.