જેમ મનુષ્યની અવસ્થા હોય છે તેમ ગ્રહોની પણ અવસ્થા હોય છે.
જન્મકુંડળીના દરેક ગ્રહ પોતાની અવસ્થા અનુસાર ફળ આપે છે.
ગ્રહોની અવસ્થા નીચે મુજબ હોય છે.
➡ બાલ્યાવસ્થા
➡ કુમારવસ્થા
➡ યુવાવસ્થા
➡ વૃદ્વાવસ્થા
➡ મૃતવસ્થા.
આપણા ઋષિમુનિઓએ આકાશમંડળને ૩૬૦ અંશનું ગણ્યું છે.એમાં બાર રાશિઓને વિભાજિત કરી છે.આ પ્રત્યેક રાશિને ૩૦ અંશમાં વહેંચી છે.કોઈ પણ ગ્રહ ૦ અંશથી ૩૦ અંશ સુધી એક રાશિમાં ભ્રમણ કરી શકે છે. અહીં કયો ગ્રહ કઈ અવસ્થાનો છે તે ગ્રહોના અંશ (ડિગ્રી) થી માલૂમ થાય છે. પ્રત્યેક ગ્રહની અવસ્થા ૬ અંશ સુધી હોય છે.
ઘણા જયોતિષ જિજ્ઞાસુઓ મને આવીને પૂછતા હોય છે કે જન્મકુંડળીમાં કોઈ ગ્રહ બાલ્યાવસ્થાનો હોય કે વૃદ્ધાવસ્થાનો હોય તો શું એ ફળ આપવા અસક્ષમ છે ?
ના અહીં દરેક કિસ્સામાં એવું હોતું નથી.
સમ અને વિષમ રાશિ અનુસાર ગ્રહોને પાંચ અવસ્થામાં પરિવર્તિત કરવામાં આવ્યા છે.
ધારો કે કોઈ ગ્રહ વિષમ રાશિમાં ૧ થી ૬ અંશ સુધી બાલ્યાવસ્થામાં હોય છે અને સમ રાશિમાં ૧ થી ૬ અંશ સુધી હોય તો તે મૃત અવસ્થાનો થઈ જાય છે.
ચલો એક ઉદાહરણ દ્વારા સમજાવું.આજથી બે મહિના પહેલા પૂર્વેશ નામનો એક યુવાન તેની કુંડળી લઈને મારી પાસે કન્સલ્ટેશન લેવા આવ્યો હતો.
પૂર્વેશ હોંશિયાર, ચતુર અને તેનામાં બધુ જ તરત જ સમજી જવાની આવડત હતી પણ તે મને આવીને કહે કે મારામાં આટલી બધી બુદ્ધિ છે પણ વિશાલભાઈ આ બુદ્વિ યોગ્ય જગ્યાએ લાગતી નથી. મેં પૂર્વેશની કૂંડળી ખોલીને જોયું તો તેની કુંડળીમાં કન્યા રાશિનો ઉચ્ચનો બુધ હતો.આ બુધ ૨૧ અંશ ૩૦ કલા ૧૧ વિકલાનો હતો.
કન્યા રાશિનો બુધ હોવાથી પૂર્વેશ બુદ્ધિશાળી હતો પણ અહીં કન્યા રાશિ એ સમ રાશિ છે અને સમ રાશિનો નિયમ એમ છે કે સમ રાશિમાં ગ્રહ ૧૯ થી ૨૪ અંશ સુધી કુમાર અવસ્થામાં હોય છે એટલે કે પૂર્વેશની કુંડળીનો બુધ કુમારવસ્થાનો હતો અર્થાત્ એટલો “Mature”નહોતો તેથી પૂર્વેશ પોતાના કાર્યોને લઈને હંમેશા “બેજવાબદાર” !
પૂર્વેશ મોટે ઉપાડે કાર્ય શરૂ કરે પછી તે કાર્યોમાં બેજવાબદાર બની જાય અને કાર્ય પૂરું ના થાય એટલે નાસીપાસ થઈ જાય.
સંશોધન અનુસાર જો કોઈ ગ્રહ જન્મકુંડળીમાં કુમાર અવસ્થાનો હોય તો તે જાતકને બેજવાબદાર બનાવે છે.આ નિયમ સીધેસીધો પૂર્વેશને લાગું પડતો હતો.
મેં પૂર્વેશને જયોતિષીય ઉપાયોની સાથે થોડું પ્રેકટિકલ જ્ઞાન આપ્યું. પૂર્વેશનો હમણા બે દિવસ પહેલા ફોન આવ્યો હતો.તેની વાતો પરથી લાગ્યું કે પૂર્વેશની કુંડળીનો ઉચ્ચનો બુધ હવે બરોબર રીતે કાર્ય કરે છે.
પ્રિય વાંચકો, કુંડળીમાં ગ્રહો ઉચ્ચના હોય તો બહુ ખુશ થવાનું નહી કારણકે ગ્રહો ઉચ્ચના હોય પણ યોગ્ય અવસ્થાના ના હોય અને જન્મકુંડળીમાં યોગ્ય દિશામાં ના હોય તો તે ફળ આપવા એટલા સક્ષમ હોતા નથી.
ગ્રહોના દિશાબળ વિશે અગાઉ આર્ટિકલ લખ્યો છે.
જય બહુચર માઁ.