જયોતિષશાસ્ત્રમાં સંશોધન કરીને સમાજને કંઈક નવું આપવું તેમ મારો હંમેશા અભિગમ રહ્યો છે. આવી જ કંઈક સંશોધનની રાહે જયોતિષશાસ્ત્રને ઉંડાણપૂર્વક સમજવાની મને અવનવી રાહો મળતી રહી છે. આવો આજે એવા જ કંઈક સંશોધનનું હું વર્ણન કરું.
આજથી લગભગ બે વર્ષ પહેલા વિવેકભાઈ નામના એક ભાઈ મારી ફી ચૂકવીને મારી એપોઈમેન્ટ લઈને મને તેમની કુંડળી બતાવવા આવ્યા હતા. આ ભાઈને સરસ મજાનો કામ ધંધો ચાલે. પૈસા ટકેય કંઈ જ વાંધો નહી પરંતુ વિવેકભાઈને પરિવારથી, મિત્રોથી, ભાગીદારોથી તથા બીજા કોઈને કોઈ કારણસર માનસિક દુ:ખ મળે. અવારનવાર તેમની લાગણીઓને ઠોંસ પહોંચે તેવી ઘટનાઓ તેમની સાથે બને.
શરીરની પીડા આવે તો તે દવાથી મટી પણ જાય પરંતુ મનની પીડા મટતા જાંજો સમય લાગે. વિવેકભાઈની માનસિક પીડા દિવસે ને દિવસે વધતી જતી હતી. તેમને કારણ વગરનો સંતાપ રહેતો હતો. વારંવાર અનેક મૂંઝવણો થતી હતી. તેમના મનને દુ:ખ થાય તેવી ઘટનાઓ ઘટતી હતી.
મેં વિવેકભાઈની કુંડળી ખોલીને જોયું તો વૃષભ લગ્નની કુંડળીમાં વૃષભનો ઉચ્ચનો ચંદ્ર રોહિણી નક્ષત્રમાં કેન્દ્રમાં હતો.
જયોતિષશાસ્ત્રમાં ચંદ્રને મનુષ્યનું મન કહ્યું છે અને ઉચ્ચના ચંદ્રને કારણે વૃષભ રાશિવાળા મનના શુદ્ધ, લાગણીશીલ અને અતિસંવેદનશીલ હોય છે.
વિવેકભાઈની કુંડળીમાં સિંહ રાશિમાં સૂર્ય અને ધન રાશિમાં શનિ હતો તેથી તેમને શનિની સાડાસાતી કે અઢી વર્ષની પનોતી નહોતી ચાલતી તથા જન્મના સૂર્ય પર ગોચરના શનિનું ભ્રમણ પણ નહોતું ચાલતું.
પરંતુ અહીં વિવેકભાઈને જન્મના ચંદ્ર પર ગોચરનો રાહુ ભ્રમણ કરતો હતો તેથી વિવેકભાઈને રાહુની સાડાચારી ચાલતી હતી અને જન્મના ચંદ્ર પર ગોચરનો રાહુ ભ્રમણ કરતો હોવાથી વિવેકભાઈને માનસિક પીડાઓ થઈ રહી હતી.
જયોતિષશાસ્ત્રમાં રાહુને શનિવત કહ્યો છે (શનિ વત્ રાહુ) તેથી રાહુ શનિ જેવું જ ફળ આપે છે.
મેં વિવેકભાઈને માનસિક પીડાઓ દૂર કરવાના થોડા ઘણા ઉપાયો બતાવ્યા અને નિરાશ થઈને આવેલા વિવેકભાઈ નવી આશા લઈને મારી પાસેથી ગયા.
તમે લોકો એમ કહેશો કે વિશાલભાઈ, આ નવું શું લઈ આવ્યા ? અમને તો હજી સુધી શનિની સાડાસાતી વિશે ખબર હતી તો આ વળી રાહુની સાડાચારી વિશે શું નવું લાવ્યા ?
તમારા મનમાં ઉદભવતા સવાલનો સરળ ઉત્તર આપું તો જન્મના ચંદ્રથી બીજે, જન્મના ચંદ્ર ઉપર અને જન્મના ચંદ્રથી બારમે રાહુનું ગોચર ભ્રમણ થાય તેને રાહુની સાડાચારી કહેવાય છે.
રાહુ એક રાશિમાં દોઢ વર્ષ ગોચર ભ્રમણ કરે છે અને સાડા ચાર વર્ષ સુધી તે રાશિની આસપાસ અને તે રાશિ ઉપર ગોચર ભ્રમણ કરે છે જેનું સારું અને નરસું બંને ફળ ભોગવવા આપણે તૈયાર રહેવું પડે છે.
પ્રિય વાંચકો, તમને એમ થશે કે રાહુની સાડા ચારી હોય તો શું કેતુની સાડા ચારી હોય ? ગોચરના કેતુની જન્મના ચંદ્ર પર શું અસરો થાય છે ?
વાંચો આવતા અંકમાં ….
જય બહુચર માઁ.