મને આજથી એકાદ મહિના પહેલા આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું રાત્રે જન્મેલા દુર્ભાગ્યશાળી હોય છે અને દિવસે જન્મેલા ભાગ્યશાળી હોય છે ?
હકીકતમાં આ બધી મનમાં ઉદભવેલી વાતો અને ગૂગલના જ્ઞાની બાબાઓ દ્વારા ફેલાવાતો ભ્રમ છે.જો એવું જ હોત તો રાત્રિના બાર વાગે જન્મેલા શ્રી કૃષ્ણ દુર્ભાગ્યશાળી ના હોત ? જો એવું જ હોત તો તેઓ દ્વારિકાના રાજા ના હોત. જો એવું જ હોત તો તેઓ સોળ હજાર એક સો આઠ પટરાણીઓનો નાથ ના હોત.
ભગવાન શ્રી રામની વાત કરીએ તો તેઓ દિવસના બાર વાગે જન્મયા હતા તેમણે રાજગાદી પર બેસવાની બદલે વનવાસ જવું પડયું હતું. તેમને સીતા માતાનો વિયોગ સહન કરવો પડયો હતો. તેમને સીતા માતાને પાછા લાવવા રાવણ સાથે યુદ્ધ કરવું પડયું હતુ. એવું નહોતું કે તેઓ દુર્ભાગ્યશાળી હતા પરંતુ તેમણે તેમનું જીવન મર્યાદામાં રહીને સમાજને શીખ આપવા માટે વીતાવ્યું હતું.
હકીકતમાં ચાર પ્રહારે જન્મકુંડળીમાં સૂર્ય અલગ અલગ દિશામાં હોય છે. જન્મકુંડળીની દિશા અનુસાર સવારના સમયે પૂર્વ દિશામાં, બપોરના સમયે દક્ષિણ દિશામાં, સાંજના સમયે પશ્વિમ દિશામાં અને રાત્રિના સમયે ઉત્તર દિશામાં હોય છે.
આ ચાર કેન્દ્ર સ્થાનમાં સૂર્ય બળવાન હોય તો વ્યક્તિ સત્તાધીશ થાય છે.જીવનમાં કેટલીય તકલીફો વેઠયા બાદ રાજા સમાન સુખ પ્રાપ્ત કરે છે.ધારો કે શ્રી રામ ભગવાનને પહેલા વનવાસ જવું પડયું પણ બાદમાં શ્રી રામનો રાજયાભિષેક થયો હતો. શ્રી કૃષ્ણ નાનપણમાં અગણિત દુશ્મનો સામે લડીને પછી જ રાજાધિરાજ દ્વારકાધીશ બન્યા હતા.
વ્યકિતના રાત્રિના કે દિવસના જન્મને જન્મકુંડળીમાં બિરાજમાન ગ્રહો સાથે કોઈ લેવાદેવા નથી હોતા. વ્યક્તિનું જીવન અને તેનું લગ્નજીવન તેની જન્મકુંડળીના ગ્રહોના આધારે નક્કી થાય છે. તેના જન્મના નક્ષત્ર, તેની ચંદ્ર રાશિ,તેની સૂર્ય રાશિ, જન્મ લગ્ન, લગ્નેશના આધારે તેનો સ્વભાવ, ચરિત્ર વગેરે માલૂમ થાય છે.
જન્મકુંડળીના સપ્તમેશ, લગ્નજીવનનો કારક ગુરુ, સ્ત્રીની કુંડળીમાં સૌભાગ્યનો કારક મંગળ અને પુરુષની કુંડળીમાં તેની સ્ત્રીનો કારક શુક્ર વગેરેના આધારે તેનું લગ્નજીવનનું સુખ નક્કી થાય છે. ભાગ્ય સ્થાનના અધિપતિ ભાગ્યેશ અને ભાગ્યસ્થાનમાં બેઠેલા ગ્રહોના આધારે ભાગ્ય નક્કી થાય છે.
જયોતિષશાસ્ત્ર એ આજીવન શીખવાનું શાસ્ત્ર છે. રોજની પ્રેકટિસ જરૂરી છે. ઈશ્વરના આશીર્વાદ અને સામાવાળાનું સારું કરવાની સાચી નીતિ હોય તો જ જયોતિષશાસ્ત્ર કાર્ય કરે છે,અન્યથા નહી.
જય બહુચર માં.