PURE SOUL CONJUCTION
જયોતિષશાસ્ત્રમાં સૂર્યને આત્મા અને પ્રતિષ્ઠાનો કારક કહ્યો છે તો કેતુને મોક્ષનો કારક કહ્યો છે. સૂર્ય સ્વ છે તો કેતુ સ્વની ખોજ છે. સૂર્ય તેજસ્વીતા છે તો કેતુ એ તેજસ્વિતાને વિસ્તૃત કરવાની શક્તિ ( એનર્જી ) નો સ્ત્રોત છે.
ઘણા ખરા જયોતિષો આ સૂર્ય-કેતુની યુતિને “પિતૃદોષ” ના માળખામાં ગણાવીને પિતૃવિધાન કરવાના ઉપાય આપતા હોય છે પણ મારૂં જયોતિષશાસ્ત્ર તદન અલગ છે. માન્યું કે સૂર્ય પિતાનો કારક છે પણ કેતુની સાથે યુતિ સંબંધ થતા તેના પિતૃઓના તે જાતક પર પૂર્ણ આશીર્વાદ હોય છે તેવું મારું માનવું છે કારણકે કેતુ કુટુંબના સદગતિ પામેલા દિવ્ય પૂર્વજોનો કારક છે.
મત્સત્યપુરાણમાં ઘણા પ્રકારના કેતુનું વર્ણન છે તેમાં પ્રધાન ધૂમકેતુ છે.કેતુ વાયવ્યકોણનું પ્રતિનિધિત્વ કરે છે.કેતુ આકાશમાં લહેરાતા ધ્વજ જેવો છે.કેતુ મોક્ષ, આધ્યાત્મિકતા અને શૂન્યતા છે.ગૂઢ વિદ્યા અને ગૂઢ રહસ્યો કેતુની ઉપજ છે.
મેં એવી ઘણી કુંડળીઓનો અભ્યાસ કર્યો છે કે જેમાં સૂર્ય-કેતુની યુતિ હોય છે અથવા સૂર્ય કેતુના નક્ષત્રમાં હોય છે. સૂર્ય કેતુનું નક્ષત્ર બળ પ્રાપ્ત કરતો હોય છે ત્યારે તે સ્વગૃહી, ઉચ્ચનો અથવા મિત્ર ઘરનો હોય છે. કેતુના અશ્વિની, મઘા અને મૂળ એમ ત્રણ નક્ષત્રો છે. આ યુતિ ધરાવતા જાતકો તેમના જીવનમાં પ્રતિષ્ઠા, કીર્તિ, યશ અને નામના મેળવતા હોય છે. તેનું કારણ એ છે કે આત્મા ( સૂર્ય ) ની સાથે શક્તિ ( કેતુ ) જોડાય છે.
સૂર્ય કેતુ સાથે અથવા કેતુના નક્ષત્રમાં હોય તેઓ પ્રામાણિક, નિષ્ઠાવાન, પરોપકારી વૃત્તિના હોય છે. તેઓ સારા માર્ગદર્શક,લોકોને પ્રેરણા આપનાર પ્રેરક વ્યકિત ( Motivator ) બને છે. તેઓની ખાસિયત રડતાના મુખે હાસ્ય લાવવાની હોય છે. જેનો સૂર્ય કેતુના નક્ષત્રમાં હોય તેના પિતાને મોક્ષ મળે છે.
આપ સૌએ ભગવાન શ્રીકૃષ્ણની વૃષભ લગ્નની જન્મકુંડળી જોઈ જ હશે. તેમની જન્મકુંડળીમાં ચોથે સિંહનો સૂર્ય મઘા નક્ષત્રમાં છે જે નક્ષત્ર કેતુનું છે. શ્રી કૃષ્ણ પ્રતાપી, તેજસ્વી અને દુષ્ટોનો નાશ કરવાવાળા સર્વ શક્તિમાન બન્યા.આ સૂર્ય-કેતુનો કમાલ કહી શકાય.
ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની તુલા લગ્નની જન્મકુંડળીમાં બારમે સૂર્ય કેતુની યુતિ હોવાથી તેઓ તેમના આત્મવિશ્વાસની આંતરિક શક્તિથી સામાન્ય વ્યકિતમાંથી વડાપ્રધાન બન્યા.
ભારતના મહાન ઉદ્યોગપતિ રતન તાતાની ધન લગ્નની કુંડળીમાં ધન રાશિનો સૂર્ય કેતુના મૂળ નક્ષત્રમાં છે. તેઓ તેમની કંપનીમાં કાર્ય કરતા કર્મચારીઓનો ઉત્કર્ષ કરતા હોય છે. તેઓ હંમેશા પ્રજાને ઓછી કિંમતમાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુ આપતા હોય છે તથા જયારે જયારે દેશ પર સંકટ આવી પડે ત્યારે તેઓ દેશના પડખે ઉભા રહી જાય છે.
અંકશાસ્ત્રની દષ્ટિએ વર્ણવું તો સૂર્ય નો અંક એક ( ૧ ) છે અને કેતુનો અંક શૂન્ય ( ૦ ) છે.જો સૂર્યની સાથે શક્તિ જોડાઈ જાય તો તમે જ વિચારો કે શું થાય ?.. ૧ ની કિંમત પણ પાછો શૂન્ય વધારે છે ને ! ૧૦ રૂપિયા અને ૧૦ કરોડમાં દસ કરોડના શૂન્યની વધારે તાકાત હોય છે.
આમ અત:થી ઈતિ: શૂન્યમાંથી નવું સર્જન કરનાર સૂર્ય કેતુની યુતિને મારી દીર્ધદષ્ટિએ “દિવ્ય આત્મા યોગ” કહીશ.જયોતિષશાસ્ત્રના મારા આ તાર્કિક સંશોધનને નવી ઉંચાઈએ લઈ જવા માટે ઈશ્વરે મને જે બુદ્ધિમતા આપી તે માટે ઈશ્વરનો અને આપ સૌનો હ્દયપૂર્વક આભારી છું.
જય બહુચર માં.