જયોતિષશાસ્ત્રમાં જેટલું જન્મકુંડળી અને જન્મકુંડળીમાં બિરાજમાન ગ્રહોનું મહત્વ છે તેટલું જ વિશોત્તરી મહાદશાનું મહત્વ છે. વિશોત્તરી મહાદશા એટલે ૧૨૦ વર્ષની દશાનું ચક્ર. આ ૧૨૦ વર્ષને નવ વડે ભાગાકાર કરતા વિશોત્તરી મહાદશા મળે છે. વિશોતરી મહાદશાના રચયિતા આચાર્ય પરાશર મુનિ છે. આચાર્ય પરાશર મુનિએ માનવીની આયુ ૧૨૦ વર્ષની ગણીને આ દશાઓ નક્કી કરેલ છે.
જાતકે જે નક્ષત્રમાં જન્મ લીધો હોય તે નક્ષત્રની દશા તેના જન્મ સમયથી શરૂ થાય છે. જેમ કે જો તમારો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો હોય તો ચંદ્રની મહાદશામાં તમારો જન્મ થયો છે.
દરેક ગ્રહની ચોકક્સ વર્ષોની મહાદશા હોય છે જે અનુક્રમે નીચે પ્રમાણે છે.
સૂર્ય ની મહાદશા – ૬ વર્ષ
ચંદ્ર ની મહાદશા – ૧૦ વર્ષ
મંગળ ની મહાદશા – ૧૯ વર્ષ
રાહુ ની મહાદશા – ૧૮ વર્ષ
ગુરુ ની મહાદશા – ૧૬ વર્ષ
શનિ ની મહાદશા – ૧૯ વર્ષ
બુધ ની મહાદશા – ૧૭ વર્ષ
કેતુ ની મહાદશા – ૭ વર્ષ
શુક્ર ની મહાદશા – ૨૦ વર્ષ
જેમ આ મહાદશા હોય છે તેમ વિભાજિત વર્ષૉ અનુસાર પ્રત્યંતર દશા પણ હોય છે. જે તે ગ્રહની મહાદશા અનુસાર જાતકને તે ગ્રહનું તે દશા અવધિ દરમિયાન ફળ મળે છે.
ઉદાહરણ આપું તો જો હાલ તમારી સૂર્યની મહાદશા ચાલી રહી છે તો સૂર્ય જે ભાવમાં બિરાજમાન હોય તે ભાવને લગતું, જે ભાવનો સ્વામી થતો હોય તે ભાવને લગતું, સૂર્યની સાતમી દષ્ટિ જે ભાવ પર પડતી હોય તે ભાવને લગતું ફળ આપશે. તે માટે તમારી જન્મકુંડળીમાં રહેલો સૂર્ય શુભ અવસ્થામાં હોવો જોઈએ.જો સૂર્ય શુભ નથી તો વિશોત્તરી મહાદશાનું યોગ્ય ફળ મળતું નથી.
(આંતરદશા માટે પણ આમ જ ફળ ગણવું )
જયારે ઘણા જાતકો મારી પાસે તેમની જન્મકુંડળીનું પરામર્શ મેળવવા આવતા હોય છે ત્યારે તેમને તેમના જીવનની યોગ્ય દિશા નથી મળતી તેમ જણાવતા હોય છે.જયારે હું તે જાતકની વિશોત્તરી મહાદશા ખોલીને જોવું છું તો તે જાતક રાહુની મહાદશામાં પીડાતો હોય છે.
રાહુની મહાદશામાં જાતકને સંધર્ષ, નિષ્ફળતા અને નિરાશા સિવાય કશુંય મળતું નથી. જાતક દિશાવિહીન હોય છે. જન્મકુંડળીનો રાહુ જે સ્થાનમાં બિરાજમાન હોય તે ભાવને લગતી જાતકને અસહ્ય પીડા મળે છે.
મારા સંશોધનમાં એમ જોવામાં આવ્યું છે કે જયારે જાતક વિદેશમાં હોય છે ત્યારે જાતકને રાહુની મહાદશા એટલા નકારાત્મક પરિણામ આપતી નથી. અન્ય એક સંશોધનમાં એવું જોવામાં આવ્યું છે કે રાહુ જો ગુરુ જેવા પવિત્ર ગ્રહ સાથે બિરાજમાન હોય અને ગુરુ રાહુ કરતા વધારે બળવાન હોય તો પણ જાતકને રાહુની મહાદશા એટલા વિપરીત ફળ આપી શકતી નથી.
રાહુ એટલે દુ:ખ.ગુરુ એટલે સુખ. રાહુની મહાદશા દુ:ખ આપે છે તો ગુરુની મહાદશા સુખ આપે છે. રાહુની મહાદશા પૂર્ણ થયા બાદ ગુરુની મહાદશાની શરૂઆત થાય છે.
ગુરુની મહાદશામાં જો કુંડળીમાં ગુરુ શુભ અવસ્થામાં હોય તો જાતકને તમામ સુખ મળે છે. જાતકને તેના જીવનની યોગ્ય દિશા મળે છે. ગુરુની મહાદશામાં જો ગુરુ શુભ અવસ્થામાં હોય તો જાતકને તમામ પ્રકારના સુખ મળે છે જેમ કે ધન, મિલકત, પત્ની, સંતાન એમ તમામ બાબતે સુખ મળે છે.જાતકને તેના જીવનની યોગ્ય દિશા મળે છે.
શનિની મહાદશા વિશે એવી ભ્રાંતિ છે કે શનિ તેની મહાદશામાં ખરાબ ફળ આપે છે તે વાત હજમ કરવા માટે હાજમોલા પણ અસર કરતી નથી. મારા સંશોધન અને અનુભવ પ્રમાણે જન્મકુંડળીમાં શનિ શુભ અવસ્થામાં હોય તો જાતકને તેની મહાદશા દરમ્યાન રોડપતિમાંથી કરોડપતિ પણ બનાવી શકે છે.
શનિની મહાદશા દરમ્યાન જન્મકુંડળીનો શનિ તમારા કરેલા સારા નરસા કર્મોનું ફળ આપે છે. જો સારા કર્મો કર્યા હશે તો સારૂં ફળ આપશે અને જો ખરાબ કર્મો કર્યા હશે તો દંડ આપશે.
જો તમને તમારી દશા સુધારવી હોય અને જીવનની યોગ્ય દિશા મેળવવી હોય એકવાર યોગ્ય મહાદશાની રાહ જુઓ ત્યાં સુધી ખૂબ મહેનત કરો.
તમે કરેલી મહેનત કયારેય નિષ્ફળ નહી જાય પણ આ મહેનત યોગ્ય દિશામાં થવી પણ જરૂરી છે.
જયોતિષી કયારેય તમારી દશા નથી સુધારી શક્તો પણ હા તે તમને જીવનની યોગ્ય દિશા જરૂર બતાવી શકે છે.
જય બહુચર માં.