એક સજ્જન પુરુષે અનેક ગ્રંથો, શાસ્ત્રો અને પુરાણોને ગોખી નાંખ્યા પછી તે સર્વત્ર પોતે જ્ઞાની હોવાનો દેખાડો કરતો હતો. તે ઈચ્છતો હતો કે તેને કોઈ પ્રશ્ન પૂછે અને તે તેનું જ્ઞાન પ્રદર્શિત કરીને લોકો પાસેથી વાહવાહી મેળવે.
એક સમયની વાત છે.એક નાનકડો સાત વર્ષનો બાળક મંદિરે જતો હતો.આ સજ્જન પુરુષે પોતાના જ્ઞાનની ક્ષમતા બતાવવા તે નાનકડા બાળકને પૂછયું કે “આ દીવો લઈને કયાં જાય છે ? બાળકે કહ્યું કે “મંદિર જવું છું” સજજ્ને ફરીથી પૂછયું કે “તને ખબર છે આ દીવામાં જયોત કયાંથી આવી ?
પોતાના જ્ઞાનના અહંકારમાં આવીને સજજ્નને એમ થયું કે બાળક જવાબ નહી આપી શકે અને પછી તેને પોતાનું જ્ઞાન પ્રદર્શિત કરવાનો મોકો મળશે પણ એમ થયું નહી.
બાળકે દીવાને ફૂંક મારીને ઓલવી નાંખ્યો અને તે સજજને પૂછયું કે તમને ખબર છે કે આ જયોત કયાં ગઈ ? જયોત તમારી સામે જ ગઈ છે. તમે મને પહેલા એમ કહો કે જયોત કયાં ગઈ પછી હું તમને જણાવીશ કે જયોત કયાંથી આવી ? બાળકની આ દલીલ સામે સજજન હારી ગયો.
આ વાર્તા મેં શ્રી શૈલેનભાઈ શાહ દ્વારા સંકલન કરેલા સત્સંગ નામના પુસ્તકમાં વાંચી હતી.
પ્રિય વાંચકો, મનુષ્યને જ્ઞાન પુસ્તકો અને ગ્રંથો દ્વારા ચોક્કસથી પ્રાપ્ત થાય છે પણ ગ્રંથો કે પુસ્તકો વાંચવાની પ્રેરણા પણ ઈશ્વરના આશીર્વાદથી જ પ્રાપ્ત થાય છે.
મનુષ્યની પાસે એવું પણ જ્ઞાન હોય છે જે તેને ઈશ્વરની કૃપાથી સીધે સીધુ પ્રાપ્ત થાય છે જેનો કયાંય કોઈ પુસ્તકો કે ગ્રંથોમાં હોતું નથી.આ જ્ઞાનને “આત્મજ્ઞાન” કહેવાય છે.
આ દુનિયામાં ઘણા એવા લોકો હોય છે કે તે કોઈએ લખેલા આત્મજ્ઞાનના લખાણને કોપી કરીને પોતાના નામે ચડાવીને શાબાશીઓ ખાંટતા હોય છે પણ તે લોકોને એમ નથી ખબર હોતી કે કોઈનું લખેલું તેઓ કોપી કરી શકશે પણ તેના જ્ઞાનને કોપી નહી કરી શકે.
આજની જનરેશન એવી થઈ ગઈ છે કે શિવાનંદ સ્વામી રચિત જય આદ્યાશક્તિ આરતીમાંથી શિવાનંદ સ્વામીનું નામ અને આનંદના ગરબામાંથી શ્રી વલ્લભ ભટ્ટજીનું નામ પણ ભૂંસી નાંખે પણ આમ તેઓએ ના કરવું જોઈએ.
ઘણી વાર આવી વિશેષ કૃતિઓ, સ્તુતિઓ, ભજનો, આરતીઓ કે લેખન માટે ઈશ્વર કોઈ ખાસને નિમિત્ત બનાવે છે. એ ખાસ હું, તમે કે બીજું કોઈ પણ હોઈ શકે છે તેથી ઈશ્વરે જેને જે હક આપ્યો છે તે છીનવશો નહી.
કોઈનું લખેલું તમારા નામે ચડાવશો નહી પરંતુ જેણે લખ્યું હોય તેને ક્રેડિટ આપજો (જેમ મેં ઉપર શૈલેનભાઈ શાહને આપી છે.)
કોઈના પણ જ્ઞાનમાંથી કંઈ પણ કોપી કરવાને બદલે તેમાંથી પ્રેરણા લઈને તમે જાતે કંઈક નવી રચના બનાવજો.તમારું સંશોધન કે આત્મજ્ઞાન લખજો કારણકે આ બધુ જ્ઞાન ઈશ્વરની કૃપાથી જ પ્રાપ્ત થાય છે.
જય બહુચર માઁ.