આપણે સૌ જાણીએ છે કે ભારતને આઝાદી અપાવવામાં ગાંધીજીની અહિંસાની ચળવળ જવાબદાર હતી પણ આપણે સૌ તે વીરોને પણ ના ભૂલી શકીએ જેમણે દેશ માટે બલિદાન આપ્યું, દેશને આઝાદ કરવા માટે દેશના લોકોને ભેગા કર્યા,સૌનો જુસ્સો વધાર્યો,અંગ્રેજોને ડરાવવા લડાઈ કરવી પડી તો શસ્ત્રો ઉઠાવ્યા,કયાંક ઉપવાસ પર ઉતરવું પડયું તો તેમ કર્યુ,અંગ્રેજોની સામે પ્રચંડ શકિતથી બળવો પોકારનાર એ વીરોને આપણે કયારેય પણ વિસરાઈ ના શકીએ.
શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુએ તેમના જેવા અસંખ્ય દેશભકતો તેમની સાથે ભેગા કર્યા હતા. તે લોકો એક સંકલ્પ સાથે ઘરેથી નીકળ્યા હતા કે “જીવ ભલે જતો રહે પણ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવીશું”. અંગ્રેજોની અંદર ડર પેદા કરવાનું કાર્ય ભારતના આ વીર શહીદોએ કર્યું હતું તે સિંહોની ગર્વતા ગૌરવસભર છે.
ચંદ્રશેખર “આઝાદ” જેમણે અંગ્રેજોને માર્યા પણ ખૂબ અને ડરાવ્યા પણ ખરા ! તેઓ એવું કહેતા કે “કોઈ અંગ્રેજની તાકાત નથી કે “આઝાદ” ને બંદી બનાવી શકે કે જીવતો પકડી શકે”. તેવા ચંદ્રશેખર આઝાદે દેશને આઝાદ કરાવવા માટે જે બલિદાન આપ્યું તે વળી કોણ યાદ નહી રાખે ?
“તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા” નું વચન માંગનાર સુભાષચંદ્ર બોઝે “આઝાદ હિંદ ફૌજ”ની રચના કરી તેમણે બ્રિટિશ ફોજમાં રહેલા ભારતીય જવાનોની અંતર આત્માને જાગૃત કરીને તેમને “આઝાદ હિંદ ફૌજ” માં સામેલ કર્યા. જયારે બ્રિટનની આર્મીમાંથી ભારતીય જવાનો “આઝાદ હિંદ ફૌજ” માં જોડાઈ રહ્યા હતા ત્યારે જ બ્રિટને નક્કી કરી નાખ્યું હતું કે “તેઓ હવે ભારત પર રાજ નહી કરી શકે” આમ તેઓએ તેમના પાછા જવાનો સામાન તૈયાર કરીને ભારત છોડવાનું નક્કી કરી નાખ્યું હતું અને આખરે ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારત આઝાદ થયું….
આપણા દેશને આઝાદ કરવા માટે સૌએ પોતપોતાની રીતે ક્રાંતિકારી ફાળો આપ્યો જ હતો પરંતુ આજે પણ આપણે ૨૦૨૩ માં માનસિક કે શારીરિક રીતે આઝાદ નથી. ૧૯૪૭ થી માંડીને ૨૦૨૩ સુધીમાં આપણે જે કંઈપણ જાણતા અજાણતા કર્યુ તે દેશની આઝાદીને નુકસાન પહોંચાડનારું છે અને ફરીથી દેશને ગુલામી તરફ લઈ જનારું આપણું બેદરકારીભર્યુ વલણ છે.
આપણે વૈશ્વિકરણ ( ગ્લોબલાઈઝેશન ) ની આડમાં વિદેશી વસ્તુઓના આદિ બની રહ્યા છે આમ તો ખરેખર આપણને જાણીજોઈને પણ આદિ બનાવવામાં આવી રહ્યા છે. વિદેશી કંપનીઓ સૌથી વધારે નફો ભારતમાંથી કમાય છે અને એ નફામાંથી તેઓ તેમના દેશ માટે હથિયારો ખરીદે છે જેનો ઉપયોગ આપણી સરહદ પર દેશની રક્ષા કરી રહેલા જવાનો પર થાય છે તે ખરેખર હ્દય કંપાવનારું સત્ય છે.
બીજી એક હકીકત એ પણ છે કે આપણા દેશમાં અંગ્રેજી ભાષાને બહુ જ વધારે મહત્વ આપવામાં આવે છે. જેને નથી આવડતું એની હાંસી ઉડાડવામાં આવે છે તો મને પૂછવાનું મન થાય કે સર્વ ભાષાઓની જનની “સંસ્કૃત”નું શું ? આપણી રાષ્ટ્રભાષા હિંદીનું શું ? અને માતૃભાષા “ગુજરાતી” ને તો કંઈ ગણવામાં જ નથી આવતી. હું ના નથી કહેતો કે અંગ્રેજી ભાષા ના શીખવી જોઈએ પણ એનો ક્રમાંક ચોથો હોવો જોઈએ.પહેલા દેશ, દેશની સંસ્કૃતિ, રાષ્ટ્રભાષા, માતૃભાષા અને માતૃભૂમિ પ્રત્યેની અગ્રગણ્યતા હોવી જરૂરી છે.
આપણે દેશને ખોંખલો કરી રહેલા હજી પણ કેટલાક ભ્રષ્ટાચારીઓની ગુલામી કરી રહ્યા છે તે ભ્રષ્ટાચારીઓ સરકારી અધિકારીઓ, મંત્રી કે નેતાના બહેરૂપિયા વેશમાં દેશને લૂંટી રહ્યા છે, દેશની પ્રજાનું શોષણ કરી રહ્યા છે, દેશના યુવાનોને પોતાના રાજકીય લાભ માટે ધર્મ, જાતિ કે કોમના નામે અંદરોઅંદર લડાવી રહ્યા છે. આવો આપણે આવા ભ્રષ્ટાચારીઓની ચુંગાલમાંથી મુકત થઈએ, સમાજસેવા કરીને સ્વતંત્ર થઈએ,”સમાજની સેવા એ ખરી દેશસેવા છે” એ કરવા માટે કોઈ પક્ષ કે પાર્ટી સાથે જોડાવાની જરૂર નથી.
આજે ૧૫મી ઓગસ્ટે આપણે એક સંકલ્પ લઈએ કે આપણી મહિને થતી આવકનો કેટલોક હિસ્સો આપણા દેશની આર્મીના ભંડોળમાં ( ADGPI ) વાપરીશું જે ભંડોળમાંથી શહીદ જવાનના પરિવારને મદદ કરવામાં આવે છે તથા યુદ્ધમાં પોતાના શરીરના અંગો ગુમાવનાર આર્મીજવાનને અને તેમના પરિવારને પ્રોત્સાહનના ભાગરૂપે કેટલુંક ફંડ આપવામાં આવે છે. આપણા દેશનું,આપણી તથા આપણા પરિવારની રક્ષા કરનારનું થોડું ઘણું ઋણ અદા કરીએ,દેશભકિતમાં જોડાઈને દેશભકત બનીએ,આપણે સ્વતંત્ર ભારતીય બનીએ.
જયહિંદ.
જય બહુચર માં.