આખા બહુચરાજી ગામના બાળકોને આમંત્રિત કરીને ભોજન જમાડવું, અક્ષત ( ચોખા ) થી વધાવવા, દક્ષિણા આપવી તથા સંઘમાં આવતા અનેક માંઈભકતો દ્વારા બાળકોને અલગ અલગ પ્રકારની ભેટ સોગાદો આપવી. આ પ્રણાલિ શ્રી બેચર ભગતજીએ શીખવી છે જે ૯૦ વર્ષથી અખંડ છે.
મને લાગે છે કે આ બધા બટુકોમાં માં બહુચર બાલા (નાની બાળા) સ્વરપે અને શ્રી નારસંગવીર દાદા (નાના બાળક) સ્વરૂપે ચોકકસ જમવા આવ્યા હશે. બટુક ભોજન હતું એટલે બટુક ભૈરવને કેમ ભૂલાય !! બટુક ભૈરવ પણ નાના બટુકનું રૂપ લઈને આવ્યા હશે. આ બધા અમને જોઈ શકતા હતા પણ અમારી એવી દીર્ઘદષ્ટિ નહોતી કે અમે એમને ભાળી શકીએ પરંતુ એ વાત ચોકકસ છે કે તેઓ જમીને તૃપ્ત થઈને અમને આશીર્વાદ આપીને ગયા હશે.
જો કે જે દિવસે સંઘનો અન્નકૂટ હતો એ જ દિવસે સંધનો નવચંડી યજ્ઞ પણ હતો જેમાં વિદ્વાન બ્રાહ્મણોએ અગ્નિમાં હોમ આપીને સર્વ દેવીદેવતાઓને અર્ધ્ય (જમાડવા) આપીને તૃપ્ત કર્યા હતા.
બટુક ભોજન પત્યા પછી જે પેલા નાના બાળકોના એંઠા પતરાળા હતા ને એ ઉપાડવા માટે પણ સંઘના લોકોએ એક સેકન્ડ પણ રાહ ના જોઈ કારણકે આ પુણ્યનો લ્હાવો વળી બીજે કયાં મળે ! અંતે સંઘના લોકો જમવા બેઠા ત્યારે સંધના વ્યવસ્થાસ્થાપકો અને વહીવટદારો એ સર્વને હાથ જોડીને “અમારું બોલ્યુ ચાલ્યુ કરજો માફ” ની ધૂન બોલાવીને સંઘમાં કોઈ પણ ક્ષતિ રહી હોય કે ભૂલથી કંઈ બોલાઈ પણ ગયું હોય તો સર્વ સંઘજનોની હ્દયપૂર્વકની માફી માંગી.
સૌ શ્રી બેચર ભગતજીની પૌત્રી શ્રી ધર્મીબેનને વંદન કરીને ઘર તરફ રવાના થયા. સંઘ વિદાય થયો. સંઘના લોકો ઘરે જતા પહેલા એકવાર માતાના મંદિરમાં દર્શન કરવા ગયા. મનમાં એકબાજુ આનંદ હતો કે માં તે કેટલો બધો આનંદ કરાવ્યો અને મનના બીજા કોઈ ખૂણે થોડું તારું ધામ છોડવાનું……………………
પણ તું ફરી ફરીને બોલાવતી રહેજે.
બોલો જય બહુચર માં.