એકવાર પાર્વતીજી સ્નાન કરતા હોય છે ત્યારે મહાદેવજી અનાયાસે ઘરમાં પહોંચી જાય છે. મહાદેવજીને આવેલા જોઈને પાર્વતીજી લજ્જા અનુભવે છે. સ્ત્રી સ્વભાવે પાર્વતીજીની દાસીઓ પાર્વતીને કહે છે કે પતિદેવ આવી રીતે આવી જાય એનાથી આપણને કેટલી બધી શરમ અનુભવાય ??
પાર્વતીજીને આ વાત મનમાં ઘર કરી જાય છે. બીજા દિવસે એટલે કે ભાદરવા સુદ ચોથના દિવસે પાર્વતી પોતાના શરીરના મેલમાંથી એક તેજસ્વી પુત્ર ઉત્પન્ન કરે છે અને કહે છે હે પુત્ર ! અમે સ્નાન કરતા હોઈએ ત્યારે તમે કોઈને અંદર આવવા દેશો નહી. તમે દ્વાર પર દ્વારપાળ બનીને રક્ષા કરજો એ બાળકનું નામ “ગણેશજી”. શિવજી રોજની જેમ આજે ત્યાં આવ્યા.દ્વારપાળ ગણેશજીએ કહ્યું કે હે પ્રભુ ! મારી માતા અંદર સ્નાન કરે છે તેથી આપ અંદર જઈ શકશો નહી.મહાદેવજીએ કહ્યું કે એ નારી પાર્વતી મારી અર્ધાંગિની છે તેથી હું અંદર તો જઈશ જ.ગણેશજી અને મહાદેવજી વચ્ચે વાદ વિવાદ થયો.
મહાદેવજી ત્યાંથી પાછા આવ્યા.એમના ગણોને કહ્યું કે “આ બાળકને સમજાવો અને ના સમજે તો એને પકડીને બાંધી લાવો”. મહાદેવજીના ગણો તથા પુત્ર કાર્તિકેય,વીરભદ્ર,નંદી તથા સર્વદેવો ગણેશજીને સમજાવવા ગયા પણ તોય ગણેશજી એક ના બે ના થયા.ત્યારબાદ બધાએ એક પછી એક આવીને ગણેશજી સાથે યુદ્ધ કર્યું પણ પાર્વતીજીના મહાપરાક્રમી પુત્ર ગણેશજી સામે કોઈ ટકી શકયું નહી. શિવ અત્યંત ક્રોધે ભરાઈને ત્યાં આવ્યા અને પોતાના ત્રિશૂળથી ગણેશજીનું મસ્તક ધડથી અલગ કરી દીધું. હાહાકાર થઈ ગયો.
પાર્વતીજીને આ વાત ખબર પડતા તેઓએ અત્યંત સંતાપ કર્યો અને મહાદેવજી સામે જીદ કરી કે “કંઈ પણ થાય આપ મારા પુત્રને સજીવન કરો” મહાદેવજીએ દેવોને આજ્ઞા કરી કે જંગલમાં જે પહેલું મળે એનું મસ્તક કાપીને લઈ આવો. દેવો હાથીનું મસ્તક કાપીને લાવ્યા અને એ લગાવીને ગણેશજીને સજીવન કર્યા.
મહાદેવજીએ પુત્ર ગણેશજીને ગળે લગાવીને વ્હાલ કરીને સર્વપ્રથમ પૂજનીય થાય એવા આશીર્વાદ આપ્યા. માતા પાર્વતીએ પુત્રને ખોળામાં બેસાડયો. કાર્તિકેય નાના ભાઈ પર ખૂબ જ સ્નેહ વરસાવ્યો. બધા દેવોએ પાર્વતીજીની માફી માંગી અને ગણેશજીને વિવિધ આશીર્વાદ આપ્યા.
બોલો તો ગણપતિ બાપા મોરયા.
જય બહુચર માં.