માઁ અંબાજીનું વર્ણન ઘણા લેખકો અને તત્વચિંતકોએ પોતપોતાની રીતે કર્યુ હશે પણ અંબાજી શબ્દોથી, વાકયોથી, વાણીથી, બુદ્ધિથી, વિચારોથી ના વર્ણવી શકાય એવું મૂળ તત્વ છે જેને સમજવું જટિલ અને અઘરું છે. જેમ અંબાજી પહોંચવાનો રસ્તો થોડો કઠિન છે તેમ માઁ જગદંબાના સાંનિધ્યના સીમાડે પહોંચવા માટેનું ચઢાણ પણ એટલું જ અજોડ છે.
પોષી પૂનમ વિશે ઘણી બધી પૌરાણિક વાતો અને દંતકથાઓ છે. દેવી ભાગવત, મારંકડેય પુરાણ જેવા દેવીના ગ્રંથોમાં અંબાજીની ઉત્પત્તિની ઘણી વાતો છે. જયારે પૃથ્વી પર દુકાળ હતો કોઈની પાસે જમવા માટે કશું જ નહોતું ત્યારે દેવી પોષી પૂનમે પ્રગટ થઈને પૃથ્વી પર શાકભાજી તથા ફળફળાદિ ઉત્પન્ન કર્યા હતા તેથી માં શાકંભરી કહેવાયા.
પોષી પૂનમના માઁ અંબાજીના પ્રાગટયની મૂળ વાત એમ છે કે એક ગોવાળીયો દરરોજ અરવલ્લીના પર્વતોમાં ગાયો ચરાવવા જતો.તેના ગાયોના ટોળામાં એક અજાણી ગાય જંગલમાંથી આવતી અને સાંજ પડે પાછી પણ જતી રહેતી.
ગોવાળિયો વિસ્મય પામ્યો અને એકવાર તે ગાયની પાછળ પાછળ ગુફામાં ગયો. ગુફામાં ગોવાળિયાને માં અંબા સોનાના હિંડોળે ઝૂલતા દર્શન થયા.માં અંબાએ ગોવાળિયાને વરદાન માંગવાનું કહ્યું ત્યારે ગોવાળિયાએ કહ્યું કે હે માં ! આપ અમારે ઘેર પુત્રી રૂપે અવતરણ થાઓ.
માં અંબા બોલ્યા કે આ જન્મમાં શકય નથી પણ આવતા જન્મમાં જરૂરથી તારે ત્યાં પુત્રી રૂપે અવતરીશ. માં અંબાએ ગોવાળિયાને જવ આપ્યા. એ જવ લઈને ગોવાળિયો જેવો ગુફામાંથી બહાર નીકળ્યો કે જવ હીરા મોતી થઈ ગયા.આ જ ગોવાળિયો અને તેની પત્ની ગોવાળણ બીજા જન્મમાં ગોકુળમાં નંદ-યશોદા રૂપે અવતર્યા અને માં જગદંબા એમના ત્યાં દીકરી સ્વરૂપે અવતર્યા.
હકીકતમાં તત્વના પ્રાગટયની કોઈ વાત જ ના હોય.તત્વના પ્રાગટયની વાત ગોપનીય રહે એ અતિઉત્તમ છે કારણકે માઁ અંબા પરમતત્વ છે કોઈ સામાન્ય જીવ માતાની માયાને પામી શકવા અસમર્થ છે તેથી દરેક વ્યકિતએ માઁ જગદંબાના ચરણોનું ધ્યાન ધરવું અને માંની કૃપા મેળવવા માંના ભકિતરસમાં ડૂબીને બાળક ભાવે માંની ભક્તિ કરવી જોઈએ.
ઘણા દેવીઉપાસકો, વિદ્વાન બ્રાહ્મણો તથા સચરાચર શકિતને માનનારા માં અંબાના સાંનિધ્યમાં ચાચરના ચોકમાં અનુષ્ઠાન, યજ્ઞ, તંત્ર અને મંત્ર શકિતથી જગદંબા તત્વની આરાધના કરે છે.
હું કાયમ મારા લેખમાં લખતો હોઉં છું કે શિવ અને શકિત જ પરમેશ્વર છે જે આદિ અનાદિ છે જે મૂળ તત્વ છે એનું એક ઉત્તમ પ્રમાણ મને શક્તિપીઠ અંબાજીમાં મળ્યું હતું.
હું એકવાર વહેલી સવારે અંબાજી પહોંચ્યો હતો અને માઁ ની “જય આદ્યાશકિત” આરતી પછી મહાદેવજીની “હરિહરા” આરતી થઈ હતી આ જોઈને મારું મન હરખ પામ્યું હતું અને મનોમન અંબાજીનો જયજયકાર થયો હતો.
⦿ આવતીકાલે વાંચો શક્તિનું હ્દય – અંબાજી
બોલો જય અંબે માઁ.
જય બહુચર માઁ.