કથન એટલે વચન.
શિવપુરાણમાં શિવના શરણે જવાથી જીવનું કલ્યાણ થાય છે તેમ કથન (વચન) છે.
શિવપુરાણમાં વર્ણન છે કે ભગવાન શિવ સૌના પાલક, ઈશ્વર, ધારણકર્તા, પ્રવર્તક, નિવર્તક અને તિરોભાવના એક માત્ર હેતુ છે. શિવ સ્વયં પ્રકાશ છે. શિવ અજન્મા છે. શિવને પ્રધાન, પુરુષ, વ્યકત અને કાલરૂપ ક્હ્યા છે. શિવને કારણ, નેતા,અધિપતિ અને ધાતા કહ્યા છે.
શિવ હિરણ્યગર્ભ છે અર્થાત્ શિવ સંપૂર્ણ સૃષ્ટિના હેતુ છે. શિવ વિરાટ એટલે વિશ્વરૂપને ધારણ કરનાર છે. શિવ અંતર્યામી અને પરમ પુરુષ છે. શિવ સૌમ્ય સ્વરૂપ છે અને કયારેક તેઓ રૌદ્રરૂપ છે.શિવ સગુણ છે તો શિવ નિર્ગુણ પણ છે. શિવ જ્ઞાન છે તો શિવ વિજ્ઞાન છે. શિવ વર્ણનીય છે તો શિવ અવર્ણનીય પણ છે. શિવ શાસક છે તો શિવ પાલક પણ છે.
જયારે મનુષ્ય સર્વભાવથી શિવના શરણે આવી જાય છે ત્યારે જ તેનો જીવ શિવને જાણી શકે છે. જયાં સુધી મનુષ્ય સર્વેશ્વર શિવને નથી જાણતો ત્યાં સુધી તે પાશોથી બદ્ધ આ સંસારના દુ:ખમય ચક્રમાં ફરતો રહે છે. જયારે મનુષ્ય સર્વ ઇન્દ્રિયોને વશમાં રાખીને પૂર્ણત: શિવમય થઈ જાય છે ત્યારે મનુષ્ય પુણ્ય અને પાપ બંનેને ઓળંગીને સર્વોત્તમ સત્તાને પ્રાપ્ત કરી લે છે.
આજે શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ છે. આ બધુ લખતા મારું હ્દય હવે ભરાઈ રહ્યું છે. આંખો આછી ભીની થઈ રહી છે. હું કશુંય જ્ઞાની મહાત્માઓ જાણે તેવું જાણતો નથી પણ આખા આ શ્રાવણ મહિનામાં મારાથી બને તેટલું શિવમય થવાની તથા શિવ વિશે વર્ણન કરવાની મેં કોશિશ કરી. હું ઈચ્છતો હતો કે આપ સૌ શિવ વિશે વાંચીને શિવમય થાઓ છતાં મારાથી કયાંય કોઈ ભૂલ થઈ ગઈ હોય તો હું શિવ અને શિવાનો ક્ષમાપ્રાર્થી છું. આપ સૌની પણ ક્ષમા ઈચ્છું છું.
આખો શ્રાવણ મહિનો જેમ શિવમય રહ્યા તેમ પરમાત્મા શિવ અને શિવાની નિત્ય ભક્તિ, સેવા- પૂજા, જાપ, તપ અને દાન જે બની શકે તે કરજો.
હંમેશા આ કથન યાદ રાખજો કે
શિવ આપણા સર્વના પિતા છે.
શક્તિ આપણા સર્વની માતા છે અને શિવશક્તિ શરણે થવાથી આપણા જીવનું ચોકક્સ કલ્યાણ થશે.
હર હર મહાદેવ.
જય બહુચર માઁ.