શિવ અર્થાત્ કલ્યાણ. સમગ્ર સજીવ અને નિર્જીવ એવા તમામ જીવોનું કલ્યાણ કરનાર શિવ છે.
આખો શ્રાવણ મહિનો શિવ પૂજા કરી હોય ત્યારે શ્રાવણ મહિનાના અંતિમ દિવસે શિવ અપરાધ ક્ષમાપન સ્તોત્ર વાંચવો જોઈએ છતાંય ના વાંચી શકો તો મનના શુદ્ધ ભાવથી શિવ અપરાધ ક્ષમાયાચના માંગવી જોઈએ.
અને શિવની ક્ષમાયાચના માંગવા માટે મારે મન કંઈક આવા ભાવ આવે છે.
પરમાત્મા શિવ કહે છે કે ભક્તને મારા (હયાતિ) હોવાનો ભાવ છે તો હું છું પરંતુ ભક્તને મારા (હયાતિ) હોવાનો ભાવ નથી તો હું ક્યાંય નથી.
શિવ કહે છે હું પથ્થરમાં લિંગ સ્વરૂપે છું.હું મૂર્તિમાં ધ્યાનાવસ્થામાં છું. હું આકાશમાં અવિરત છું.હું પાતાળના મૂળ સુધી છું.હું જ આ પૃથ્વી પરનું જળ છું. હું જ પ્રાણ છું, પ્રકૃતિ છું. હું અગ્નિ અને હું જ વાયુ છું. સર્વત્ર હું જ વ્યાપ્ત છું.
હું કીડીના કણથી માંડીને હાથીના મણ સુધીનું સર્જન કરું છું.હું સૃષ્ટિના તમામ જીવોનું પાલન પોષણ કરું છું અને સમયે આવ્યે હું સૃષ્ટિનો વિનાશ કરું છું.
શિવ બોલયા કે બ્રહ્મા મારી ઈચ્છાથી સર્જન અને વિષ્ણુ પાલન પોષણનું કાર્ય કરે છે.મારી ઈચ્છાથી સૂર્ય અને ચંદ્ર નિયમિત પોતાનું કાર્ય કરે છે.
શિવ કહે છે કે આદિ પરાશક્તિ વગર હૂં પૂર્ણ નથી અને આ પૃથ્વી પરના તમામ બાળકો અમારા ( શિવશક્તિ ) સંતાનો છે.
ભકતની ભક્તિ બે પ્રકારની હોય છે.
કોઈને કંઈક વસ્તુની અપેક્ષા હોય છે તો કોઈને મારા સુધી પહોંચવાની (શિવશરણે થવાની) ઘેલછા હોય છે. આ બંને પ્રકારના ભક્તો મને વ્હાલા છે.
હું વિષ્ણુ, પુષ્પદંત, રામ, કૃષ્ણ, રાવણ, પુષ્પદંત, ઉપમન્યુ, માર્કડેય, શંકરાચાર્ય જેવા મારા શ્રેષ્ઠ ભક્તોને આધીન થાઉં છું.
કોઈ દાનવવૃતિનો હોય પણ મારો પરમ ભકત હોય તો તેની ભક્તિથી હું પ્રસન્ન થઉં છું અને અંતે એની દાનવ વૃતિનો વિનાશ મારા દેવ વૃત્તિના ભક્તના હસ્તે કરાવું છું જેથી તે યેનકેન પ્રકારે મારા શરણોનું સ્થાન પામે.શું તમને બાણાસુર,ભસ્માસુર જેવા દાનવો સ્મરણ નથી ?
શિવ ભક્ત કહે છે કે હે શિવ ! ઉપરોક્ત આપનો મહિમાં ગાવાનો આ ભક્તનો ભાવ એટલો જ છે કે આપની શ્રાવણ મહિનાની પૂજા-પાઠ,ભજન-કીર્તન અને શિવ આરાધના દરમિયાન જાણતા અજાણતા કંઈ પણ અપરાધ અથવા ક્ષતિ થઈ હોય તેની ક્ષમાયાચના આપજો અને આ જન્મમાં અને આવનાર અનેક જન્મોમાં શિવભક્તિ અને શિવશરણું આપજો.
શિવે ભક્તિ શિવે ભક્તિ શિવે ભક્તિ ભવે ભવે |
ભવે ભક્તિ ભવે ભક્તિ ભવે ભક્તિ સદાશિવે ||
શ્રાવણ મહિનાની પૂર્ણાહૂતિએ સૌને હર હર મહાદેવ..
જય જય બહુચર માં.